આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: July 2011

શ્રાવણમાસ શરૂ થતાની સાથે.. ઉમરેઠ થી ડાકોર પદયાત્રા કરી મંગળા આરતી કરવા ભક્તોનો ઘસારો


  • ચંપલ વિના પગપાળા આરતી કરવા જતા ભક્તજનો.

શ્રાવણ માસ શરૂ થતાની સાથે ઉમરેઠમાં ભક્તિમય વાતાવરણ જામ્યુ છે.એક તરફ ઉમરેઠના વિવિધ મહાદેવ અને મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો જોવા મળી રહ્યા છે ત્યારે ઉમરેઠ પાસે આવેલા ડાકોર ખાતે મંગળા આરતી કરવા માટે ઉમરેઠના ભક્તજનો મોટી સંખ્યામાં સવારના સમયે પગપાળા અને પોતાના વાહનો સાથે ડાકોર તરફ જતા જોવા મળી રહ્યા છે. કેટલાય લોકો શ્રાવણ માસ દરમ્યાન ડાકોર મંગળા આરતી કરવા માટે વિના ચંપલે જઈ રહ્યા છે. સમગ્ર ઉમરેઠ પંથકમાં આ સમયે ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યુ છે.

ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે.શ્રાવણ માસમાં ડાકોર મંદિરમાં સાંજના સમયે મોટા હિંળોડા પણ કરવામાં આવશે જેના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. મંગળા આરતી સમયે ચાલુ વર્ષે ધક્કામ ઘુક્કી ન થાય તે માટે તંત્ર ઘ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હોવાનું લોકો કહી રહ્યા છે.મંગળા આરતી કરી સૌ કોઈ ભક્તો લક્ષ્મીજીના મંદિરે આરતી કરવા જતા હોય છે ત્યાર બાદ ડાકોરના ગોટા અને ખમણની દુકાનોમાં મોટી સંખ્યામા સ્વાદ રસીકો અડ્ડો જમાવી દેતા હોવાનું પણ કહેવાય છે.એકંદરે શ્રાવણ માસમાં ડાકોર અને ઉમરેઠ ખાતે અનેરુ ભક્તિમય વાતાવરણ જોવા મળે તેમાં કોઈ બે મત નથી.

વરસાદ હોય કે પુર, મંગળા આરતીના ભુલાય..! – રૂપેન ચોકસી

છેલ્લા ચાર વર્ષથી સતત ડાકોર પદયાત્રા કરી મંગળા આરતી કરવા જતા ૧૭ વર્ષના રૂપેન ચોકસી કહે છે કે , મંગળા આરતી કરી દિવ્ય આનંદની અનુભૂતિ થાય છે. મંગળા આરતી દરમ્યાન રણછોડજીની ઝાંખી ખરેખર અદભૂત હોય છે જેથી વરસાદ હોય કે પૂર તે અચુક મંગળા આરતી કરવા શ્રાવણ માસ દરમ્યાન ડાકોર પહોંચી જ જાય છે. જ્યારે પહેલી વાર મંગળા આરતી કરવાની તેઓએ શરૂઆત કરી ત્યારે ઉમરેઠ ડાકોર માર્ગ શેઢી નદીને કારણે બંધ થઈ ગયો હતો પણ રણછોડજીની પ્રેરણાથી તેઓ અન્ય માર્ગથી ડાકોર મંગળા આરતી કરવા પહોંચી ગયા હતા.

ચંપલ વીના પદયાત્રા કરી મંગળા આરતી કરવાનો આનંદ દિવ્ય છે. – મુકેશ શાહ

ઉમરેઠના મુકેશ શાહ છેલ્લા નવ વર્ષથી ચંપલ પહેર્યા વીના સવારે ડાકોર પદ યાત્રા કરી મંગળા આરતી કરવા પહોંચી જાય છે તેઓ કહે છે કે, સામાન્ય દિવસોમાં ચંપલ પહેર્યા વીના ગામમાં નિકળ્યે તો અચુક પીડા અનુભવાય પણ મંગળા આરતી કરવા ચંપલ પહેર્યા વીના ડાકોર પદયાત્રા કરીયે તો કાંઈ પીડા નથી નથી બધુ જે કાંઈ થાય છે તે રાજા રણછોડની લીલા છે.

AAPNU UMRETH-2008


AAPNU UMRETH_MARCH_2008

ઉમરેઠ કોગ્રેસ દ્વારા “પોલ ખોલ” કાર્યક્રમ યોજાયો.


રાજ્ય સરકાર દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારને જનતા સમક્ષ રજૂ કરવા માટે ઉમરૅઠ તાલુકા કોગ્રેસ દ્વારા ધારાસભ્ય લાલસિંહભાઈ વડોદિયાની આગેવાની હેઠળ “પોલ ખોલ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ઉમરેઠ બસ સ્ટેશન વિસ્તારમાં ઉમરેઠના ધારાસભ્ય લાલસિંહભાઈ વડોદિયા, માજી ધારાસભ્ય સુભાષભાઈ શેલત સહીત કોગ્રેસના અન્ય કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સ્કૂટર રેલી દ્વારા સુત્રોચ્ચાર કરી ભ્રષ્ટાચારની પોલ ખોલવામાં આવી હતી. આ દરમ્યાન રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી અને મામલતદાર દિપીકાબેન પંચાલને આવેદન પત્ર સુપ્રત કર્યું હતુ.

ઉમરેઠમાં ઈમરજન્સીના સમયમાં ૧૦૮ વાન છેક ઓડથી આવે છે..!


  • ઉમરેઠ પાસેના ઓડ અને પણસોરામાં ૧૦૮ વાન ઉભી રહે છે.

ઉમરેઠ પ્રત્યે સરકારી તંત્રના ઓરમાયા વર્તનના અનેક દાખલાઓ જોવા મળે છે તેમાં વધુ એક દાખલાનો ઉમેરો થયો છે. સરકાર દ્વારા ઈમરજન્સી સેવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ વાનની સઘવડ આપવામાં આવી રહી છે. આ સેવા દ્વારા કેટલાય લોકોના જીવ બચી ગયા હોવાના દાખલા જોવા મળે છે. સદર સેવા પ્રજા માટે ખરેખર આશીર્વાદ સમાન થઈ ગઈ છે તેમ કોઈ બે મત નથી, પરંતુ આ સેવા માટે ઉમરેઠ સહીત ઉમરેઠના અન્ય ગામના લોકોને ઓડની ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ ઉપર નિર્ભર રહેવું પડે છે. ઉમરેઠમાં જ્યારે કોઈને આ સેવાની જરૂર પડે ત્યારે ૧૦૮ વાન એક ઓડ થી આવતી હોવાને કારણે ક્યારેક ક્યારેક વિલંબ થઈ જાય તેવો ભય ઉમરૅઠના નાગરિકોને સતાવ્યા કરે છે.

વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ પહેલા ૧૦૮ ઈમર્જન્સી સેવા શરૂ થઈ ત્યારે ઉમરેઠમાં બસ સ્ટેશન પાસે અથવા ઓડ ચોકડી પાસે ૧૦૮ વાન ઉભી રહેતી હતી. જ્યારે સમય જતા અચાનક આ વાન ઓડ ખાતે ઉભી રાખવાની પ્રથા પડી ગઈ છે. હાલમાં ઉમરેઠ તાલુકો હોવા છતા પણ ઉમરૅઠ અને ઉમરેઠની આજૂ બાજૂના ગામના લોકોને ૧૦૮ની સેવા માટે ઓડ અથવા તો પણસોરાની ૧૦૮ વાન ઉપર નિર્ભર રહેવું પડે છે. ઓડ અને ઉમરૅઠ વચ્ચે લગભગ આઠ થી દશ કી.મી નું અંતર છે જેથી ૧૦૮ વાનને ઈમરજન્સીની પરિસ્થીતીમાં ઉમરૅઠ આવતા ઓછામાં ઓછી ૧૫ થી ૨૦ મિનિટ જેટલો સમય થઈ જાય છે. ઓડ થી ઉમરૅઠ આવવા માટે હાલમાં ઉમરેઠ જી.આઈ.ડી.સી ફાટક ઉપર ઓવર બ્રીજનું કામ ચાલતું હોવાથી રતનપુરા અથવા નવાપુરા ચોકડીના માર્ગ ઉપરથી ૧૦૮ વાનને આવવું પડે છે, નવાપુરા ચોકડી તેમજ રતનપુરા માર્ગથી ઉમરૅઠમાં પ્રવેશ કરતા સમયે રેલ્વે ફાટક પણ આવે છે જેથી ક્યારેક ક્યારેક ટ્રેનનો સમય હોય અને ફાટક બંધ હોય ત્યારે ૧૦૮ વાનને નિયત સ્થળે પહોંચવામાં વિલંબ થઈ જાય છે, અને આવા સમયે જરૂરિયાતમંદ લોકોને માટે આ સેવા અર્થહીન બની જાય છે.

તાજેતરમાં ઉમરેઠ ઓડ ચોકડી પાસે એક પેટ્રોલ પંપ ઉપર આગ લાગી હતી. જ્યારે આ સમયે પેટ્રોલ પંપનો કેશીયર ગંભીર રીતે દાઝી ગયો હતો ત્યારે આ સમયે પંપની આસપાસથી કોઈ વ્યક્તિએ ૧૦૮ ઉપર કોલ કરી જણાવતા ૧૦૮ ગણતરીની મિનિટોમાં આવી ગઈ હતી અને કેશીયરને હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતું જો ઓડ સ્થિત ૧૦૮ની જગ્યાએ પણસોરા સ્થિત ૧૦૮વાન ઉમરૅઠ મોકલવામાં આવી હોત તો તે વહેલી આવી શકત આ અંગે કોલ કરનાર વ્યક્તિએ ૧૦૮ના કોલ સેન્ટરમાં ખુલાસાથી કહ્યું હોવા છતા ઉમરૅઠમાં થયેલ ઘટનામાં ઓડની ૧૦૮ વાન મોકલવા મજબુર ઓપરેટર પણ કાંઈ કરી શક્યા ન હતા. રાહતની વાતએ હતી કે ઓડ થી આવેલ વાનને કોઈ ફાટક નડ્યો ન હતો અને દાઝેલ વ્યક્તિને બચાવવામાં સફળતા મળી હતી. પરંતું તે પણ તથ્ય છે કે આ સમયે ઉમરેઠ માંજ ૧૦૮ વાન હોત તો પરિસ્થિતી હાલ કરતા પણ વધુ સારી હોત.

કહેવાય છે કે, ઉમરૅઠથી ઓડ ૧૦૮ એમ્બ્યુલન્સ વાન ખસેડવા પાછળ ઉમરૅઠ ઓડ વચ્ચે રેલ્વે ફાટક ઉપર બનતા ઓવર બ્રીજનુંજ કારણ છે, પણ જો ઓવર બ્રીજને કારણે ઓડના રહીશો સુધી આ સેવા પહોંચાડવામાં અગવડ કે વિલંબ થતો હોય તો ઉમરેઠને પણ આ પરિસ્થિતીનો સામનો કરવો જ પડે ને..? ઉમરેઠ અને આજૂબાજૂના ૪૨ ગામડા માટે એક અલગથી આગવી ૧૦૮ એમ્બ્યુલન્સ વાન ફાળવવામાં આવે અને તે ઉમરેઠ માંજ ઉભી રાખવામાં આવે તેવી વ્યવસ્થા જો લાગતા વળગતા તંત્ર ધ્વારા કરવામાં આવે તો ઉમરેઠના લોકો માટે આ સેવા ખરેખર વધુ ને વધુ આશિર્વાદ સમાન બની શકે તેમ છે.

  • ..ઉમરેઠના નેતાઓ આગળ આવે તે જરૂરી..!

ઉમરેઠ ખાતે ૧૦૮ સેવા શરૂ થઈ ત્યારે ઉમરેઠ માંજ ૧૦૮ વાન ઉભી રહેતી હતી જ્યારે હાલના સમયમાં આ ૧૦૮ વાન ઉમરૅઠથી લગભગ ૮ કી.મી દૂર ઉભી રહે છે ત્યારે આ અંગે નગરના કહેવાતા નેતા આગળ આવી યોગ્ય સ્તર ઉપર રજૂઆતો કરે તે જરૂરી છે.

  • ઓડમાં પણ અલગ ૧૦૮ વાન જરૂરી..

જેમ ઓડ થી ઉમરેઠ આવવા માટે ૧૦૮ને સમય લાગે તેમ જો ઉમરૅઠમાં ૧૦૮ વાન હોય તો ઓડ જવા માટે પણ તેજ રીતે સમય લાગે, જેથી ઓડ અને ઉમરેઠ બંન્ને ગામ માટે આગવી ૧૦૮ વાનની ગોઠવણ કરવામાં આવે તો બંન્ને ગામ સહીત આજુબાજુના ગામના લોકોને સમયસર ૧૦૮ વાન ની સેવા મળી રહે. ઓડ ઉમરેઠ તાલુકાની બહારનું ગામ છે જેથી ઉમરેઠ માતે ઓડથી ૧૦૮ વાન આવે તે કેટલા અંશે વ્યાજબી છે તે પણ એક પ્રશ્ન છે.

ઉમરેઠ લાલદરવાજા પીક-અપ સ્ટેન્ડ પર બસ ન ઉભી રહેતા વિદ્યાર્થીઓ વિફર્યા..!


 આણંદ-નડિયાદની બસ નિયમિત પીક-અપ બસ સ્ટેશન ઉભી રાખવા માંગ.

ઉમરેઠથી આણંદ તેમજ નડિયાદ અભ્યાસ અર્થે તેમજ કામધંધા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહીત અન્ય મુસાફરો સવારના સમયે જતા હોય છે. ત્યારે ઉમરૅઠ બસ સ્ટેશન પરથી મુસાફરો ભરી બસના ડ્રાઈવરો મનમાની કરી લાલ દરવાજા વિસ્તારમાં તેમના મુડના આધારે બસ ઉભી રાખે છે જ્યારે લાલ દરવાજા વિસ્તારમાં નિયમિત બસ ઉભી ન રહેતી હોવાને કારણે કેટલીયવાર વિદ્યાર્થીઓ સહીત અન્ય મુસાફરોને છકડા રીક્ષામાં જીવના જોખમે મુસાફરી કરવાનો વારો આવે છે.

આ અંગે ભૂતકાળમાં કેટલીય વખત વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચ કક્ષએ રજૂઆતો કરવામાં આવી હોવા છતા લાગતા વળગતા તંત્ર દ્વારા ચોક્કસ કાયમી ઉકેલ આવ્યો ન હતો રજૂઆતો કરી તે સમયગાળામઆં થોડા સમય માટે બસ લાલ દરવાજા પીક-અપ બસ સ્ટેશન ઉભી રાખવામાં આવતી હતી ત્યાર બાદ શેઠની શિખામણ ઝાપા સુધી કહેવત અનુસાર બસ ચાલકો મનમાની પર ઉતરી મનફાવે ત્યારે લાલ દરવાજા પીક-અપ બસ સ્ટેશન પર બસ ઉભી રાખતા હતા.

આજે આણંદ અને નડિયાદ તરફ જતી બસ લાલ દરવાજા પીક અપ બસ સ્ટેશન ઉપર ન ઉભી રહેતા વિદ્યાર્થીઓ વિફર્યા હતા અને એક પણ બસ આગળ ન જવા દઈ સદર વિસ્તારમાં ટ્રાફિક જામ કરી દીધો હતો. સમગ્ર ઘટનાની જાણ ઉમરેઠ પોલીસને થતા પોલીસે પરિસ્થીતીની ગંભીરતા જોઈ વિદ્યાર્થીઓ ઉપર કડકાઈ કરી વિદ્યાર્થીઓને વિખેરી નાખ્યા હતા. જ્યારે પોલીસના આ વલનને કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. છેલ્લા કેટલાય સમયથી લાલ દરવાજા વિસ્તારમાં બસ ન ઉભી રહેતી હોવાની બુમો પડી રહી હોવા છતા પણ એસ.ટી તંત્ર આ અંગે કાંઈ ઘટતું કરતું નથી જેને કારણે વિદ્યાર્થીઓને ભારે અગવડા પડી રહી છે. આ પૂર્વે ઉમરૅથ પસે લીંગડા ગામમાં પણ બસ અનિયમિતતાથી ઉભી રહેતી હોવાની ફરિયાદ મળી હતી ત્યારે પણ ઉમરેઠ મામલતદારે દખલ કરી શ્તિતી કાબુમાં મેળવી હતી. ત્યારે વારંવાર એસ.ટી તંત્ર ઉમરૅઠ પ્રત્યે ઓરમાયું વર્તન કેમ કરે છે..? તે પ્રશ્ન સમગ્ર ઉમરૅઠના મુસાફરો કરી રહ્યા છે.

પાસ હોવા છતા , છકડામાં મુસાફરી કરવી પડે છે – રાહુલ પટેલ, વિદ્યાર્થી

અમારી પાસે એસ.ટી નો પાસ હોવા છતા પણ અમારે જીવના જોખમે પૈસા ખર્ચી છકડા રીક્ષામાં મુસાફરી કરવી પડે એ. જો લાલ દરવાજા વિસ્તારમાં નિયમિત બસ ઉભી રહે તો અમારે ખોટા પૈસા ખર્ચી જીવના જોખમે આમ ન કરવું પડે.

અમારે ચાલીને બસ સ્ટેશન સુધી જવું પડે છે. – સ્નેહલ ભટટ ,વિદ્યાર્થી

મારા ઘરથી લાલ દરવાજા પીક અપ સ્ટેશન ચાર-પાંચ મિનિટના રસ્તે છે. પણ લાલ દરવાજા પીક અપ સ્ટેશને બસ નિયમિત ન ઉભી રહેતા અમારે ચાલી ને છેક બસ સ્ટેશન સુધી જવું પડે છે. હાલમાં વરસાદનો સમય છે ત્યારે ખાસ ખુબજ અગવડ પડે છે.

અમેરીકામાં ગૌરીવ્રતની ધૂમ – વિદેશમાં પણ ધબકતી ભારતીય પરંપરા..!


  • ન્યુજર્સીની એશાએ ગૌરીવ્રત કરી ગુજરાતની પરંપરા નિભાવી.

વર્ષોથી અમેરીકા સ્થીત ગુજરાતી પરિવારના લોકોના દિલમાં હજૂ પણ ભારતીય રીત-રીવાજો અને પરંપરા ધબકી રહી છે. અમેરીકામાં જન્મ લીધો હોવા છતા ચરોતરના કેટલાક ગુજરાતી પરિવારના લોકો દ્વારા પોતાના બાળકોંમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરા ધબકતી રાખવા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જ્યારે આવા માતા-પિતાઓના સંસ્કારો બાળકોમાં સકારાત્મક રીતે સીંચાતા ભારતીય રીત રીવાજોને વિના સંકોચ તેઓના બાળકો નિભાવતા હોવાના દાખલા જોવા મળી રહ્યા છે.

આવીજ રીતે ન્યુજર્સી સ્થીત મૂળ નડિયાદ અને ઉમરેઠના શાહ દંપતી ધ્વારા પોતાની દિકરીને ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિનું જ્ઞાન આપી ભારતીય રીત રીવાજોથી તે અવગત રહે તે માટે પ્રયત્નો કર્યા હતા જેના પરિનામે શાહ પરિવારની એશાએ ગુજરાતી પરંપરા મુજબ ચાલુ વર્ષે ગૌરીવ્રત રાખ્યું હતું અને જેમ ગુજરાતના વિવિધ ગામોમાં યુવતિઓ શંકર-પાર્વતિની પૂજા કરે છે તેજ રીતે વિધિવત્ ગૌરીવ્ર દરમ્યાન શંકર-પાર્વતિની આરાધના કરી હતી.

શાહ પરિવારના સભ્યો કહે છે કે, તેઓ ભલે વર્ષોથી અમેરીકામાં રહે છે, પણ તેઓ હંમેશા ભારતીય રીત રીવાજો અને તહેવારો અમેરીકામાં ખુબ મઝાથી ઉજવે છે. જેમ અમે ભારતીય પરંપરા જાળવીયે છે અને ઘરમાં પુજા પાઠ કરીએ છે તે જોઈ અમારા બાળકો પણ અમોને જ અનુસરે છે અને પુરી શ્રધ્ધા સાથે તેઓ પણ પરંપરાગત ધાર્મિક પ્રસંગો સાત સમુંદર પાર ઉજવે છે. પોતાની દિકરીના ગૌરીવ્રત અંગે શાહ પરિવાર કહે છે કે ન્યુજર્સીમાં કેટલાય ગુજરાતી પરિવારો સ્થિત છે અને તેઓ પણ પોતાની દિકરીઓને ગૌરીવ્રત કરાવતા હોય છે. ભારત જેવું અહિયા વાતાવરન અમે મંદિરો નથી મળતા પણ શ્રધ્ધાથી જો કોઈ પણ ધાર્મિક કાર્ય કરવામાં આવે તો તે આનંદ દિવ્ય હોય છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, જેમ ભારતમાં ગૌરીવ્રતના છેલ્લા દિવસે જાગરણ ઉજવજવવામાં આવે છે. તેમ અમો પણ ગૌરીવ્રતના છેલ્લા દિવસે રાત્રિના મોડા સુધી જાગી પીકનીક કે ગેટ ટુ ગેધર નો કાર્યક્રમ રાખીયે છે. આ રીતે સૌ ગુજરાતી પરિવારો એક છત નીચે ભેગા પણ થઈયે છે અને અમારા બાળકો ભારતીય રીતરીવાજ મુજબ વ્રતની પણ ઉજવણી કરી શકે છે. શાહ પરિવાર નિખાલસ ભાવે જણાવ્યું હતું કે, અવાર નવાર અમે અને અહીયા સ્થિત કેટલાય ગુજરાતીઓ ઘરમાં કોઈ સારા પ્રસંગે સત્યનારાયણની પુજા પણ કરીયે છે. અમે ભલે અમેરીકામાં જન્મ લીધો હોય અમારૂં દિમાગ ભલે પશ્મિમી સંસ્કૃતિમાં રંગાયેલ હોય પણ દિલ તો હિન્દુસ્તાની જ છે..!

ઉમરેઠ રોટરી ક્લબનો પદગ્રહણ સમારોહ યોજાયો


  • પ્રમુખ પદે પરાગભાઈ ચોકસી અને મંત્રી પદે વિનોદભાઈ પ્રજાપતિની વરણી

રોટરી ક્લબ ઓફ ઉમરૅઠનો પદગ્રહણ સમારોહ આજે અત્રેની નાસિકવાળા ની વાડી ખાતે યોજાયો હતો જેમાં પદગ્રહણ પુરોહિત પદે રો.દેવેન્દ્રભાઈ ઠાકોર (આઈ.પી.ડી.જી) અને અતિથિ વિશેષ પદે ગોપાલભાઈ ગાભાવાળા ખાસ ઉપસ્થીત રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ ઉમરૅઠના પ્રમુખ પદે પરાગભાઈ ચોકસી તેમજ મંત્રી પદે વિનોદભાઈ પ્રજાપતિની વરણી કરવામાં આવી હતી. નવા વરણી પામેલા પ્રમુખ પરાગભાઈ ચોકસી અને તેઓની ટીમને પદગ્રહન રો.દેવેન્દ્રભાઈ ઠાકોરએ પદ ગ્રહણ કરાવ્યા હતા.

સમારોહ દરમ્યાન ગત વર્ષમાં રોટરી ક્લબ ઓફ ઉમરૅઠ દ્વારા કરવામાં આવેલ વિવિધ સેવાકિય કાર્યોની ટુંકી માહીતી આપવામાં આવી હતી જ્યારે ગત વર્ષના પ્રમુખ ધ્વારા નવા વર્ષના પ્રમુખને વિધિવત વહિવટ સોપવામાં આવ્યો હતો. પ્રાસંગિક પ્રવચનમાં રો. દેવેન્દ્રભાઈ ઠાકોરે ક્લબની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી મેળવી ક્લબના કાર્યોની પ્રશંસા કરી હતી અને ક્લબ આવનારા સમયમાં પરાગભાઈ ચોકસીના નેતૃત્વમાં સારા કાર્યો કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

પ્રાસંગિક પ્રવચન કરતા પ્રમુખ પરાગભાઈ ચોકસીએ જણાવ્યું હતું કે, નવા વિચાર અને સકારાત્મક અભિગમ સાથે તેઓ અને તેઓની ટીમ ઉમરેઠમાં સદાય સેવાકિય પ્રવૃત્તિઓ કરવા રોટરી ક્લબના માધ્યમથી સક્રીય રહેશે. તેઓએ તાજેતરમાં યોજાયેલ સિંગીંગ ગ્લોરી ઓફ ચરોતર સ્પર્ધાના વિજેયતા બનેલ યુવાન યુવતિઓને પણ અભિનંદન આપ્યા હતા. અને ભવિષ્યમાં પણ રોટરી ક્લબ ઓફ ઉમરૅઠ દ્વારા ચરોતર અને ઉમરેઠના ટેલેન્ટેડ યુવાન યુવતિને પ્રોત્સાહિત કરવા અન્ય કાર્યક્રમો યોજવાની તૈયારી બતાવી હતી.

રોટરી ક્લબ ઓફ ઉમરેઠના પદગ્રહણ સમારોહમાં ઉમરેઠ ચોકસી મહાજનના અગ્રણી વહેપારીઓ સહીત રોટરી પરિવારના સભ્યો અને નગરના આગેવાનો હાજર રહ્યા હતા.સમારોહને સફળ બનાવવા માટે રોટરી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. અંતે નવા પ્રમુખ અને મંત્રીને ઉપસ્થિત મહેમાનોએ શુભેચ્છા વ્યક્ત કરી હતી.

ઉમરેઠના ઈન્ડિયન પેટ્રોલ પંપની ઓફિસમાં આગ – મોટી દુર્ગટના ટળી.


  • પેટ્રોલ પંપના કેશીયર દાઝી જતા સારવાર હેઠળ

ઉમરેઠ ઓડ ચોકડી પાસે આવેલ ઈન્ડિયન પેટ્રોલ પંપની ઓફિસમાં શોટ સર્કીટને કારણે આગ લાગતા ઓફિસમાં રહેલ સ્ટેશનરી સહીત સામાન આગમાં બળી ગયો હતો. અચાનક લાગેલ આગને પ્રાથમિક રીતે કેશીયરે કાબુમાં લેવાની કોશીશ કરતા તેઓ પણ આગની ઝપેટમાં આવી જતા તુરંત ૧૦૮માં તેઓને કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર આપવામાં આવી હતી.

પેટ્રોલ પંપની ઓફિસની પાસેજ પેટ્રોલ અને ડિઝલની અંડર ગ્રાઊન્ડ ટાંકી હોવાને કારણે આગને કારણે પેટ્રોલ અને ડિઝલની ટાંકીમાં આગ ન લાગે તે માટે ઉમરેઠ સહીત આણંદ અને નડિયાદ અને ડાકોરના પણ ફાયર ફાયટરની મદદ લેવામાં આવી હતી. જ્યારે ફાયર બ્રીગેડે ભારે જહેમત પછી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો અને પેટ્રોલ અને ડીઝલની અંડર ગ્રાઊન્ડ ટાંકી સુધી આગ જતી રોકી હતી.

પરિસ્થિતીની ગંભીરતા જોઈ ઉમરૅઠ પોલીસ પણ ઘટના સ્થડે પહોંચી ગઈ હતી અને આ માર્ગ ઉપરથી પસાર થતા વાહન વ્યવહારને થોડા સમય માટે સાવચેતીના પગલે બંધ કરી દીધો  હતો.

ઉમરેઠમાં ઐતીહાસિક અષાઢી તોલાઈ – ઘઊં અને તલનો પાક સારો થવાનો વરતારો.


  • અષાઢી ભારતમાં કાશી અને ઉમરેઠ ખાતે જ તોલાય છે.

ઉમરેઠના સ્ટેશનરોડ ઉપર આવેલા ચંન્દ્રમૌલિશ્વર મહાદેવ ખાતે આજે અષાઢી તોલવામાં આવી હતી. ઉમરેઠના આ મહાદેવમાં એક ચમત્કારીક ગોખ આવેલ છે જેમાં પંચ રૂબરૂ મંદિરના પુજારી માટીના એક ઘડામાં જુદા જુદા અનાજ જેવા કે, મગ,ઘઊં,ચોખા,બાજરી વિગેરે રતીભાર જેટલા તોલી એક પોટલીમાં બાંધી મુકવામાં આવે છે. જ્યારે બીજા દિવસે આ ગોખને ફરી પંચ સમક્ષ ખોલી તેમાં મુકેલા અનાજને પૂનઃ તોલવામાં આવે છે અને તેમાં જે ફેરફાર દેખાય તેને અષાઢી કહેવામાં આવે છે.

આવી ઐતીહાસિક અષાઢી માત્ર ઉમરેઠ અને કાશી ખાતે જ તોલવામાં આવે છે. આ અષાઢીના વરતારા ઉપરથી ઉમરેઠ પંથકના ખેડૂતો પોતે કયો પાક કરવો તે નક્કી કરે છે. ઉમરૅઠ સહીત સૌરાષ્ટના ખેડૂતો પણ આ અષાઢીની કાગદોળે રાહ જોવે છે. અને મંદિરમાં અષાઢીના વરતારા અંગે પત્રવ્યવહાર અને ફોન કરી પુચ્છા પણ કરતા હોય છે. ચાલું વર્ષે પરંપરા મુજબ દિલીપભાઈ સોનીએ અષાઢી તોલી હતી આ સમયે ઉમરેઠના કેટલાક ખેડૂતો , સહીત નરેન્દ્રભાઈ ગાભાવાળા અને અન્ય ચોકસી મહાજનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ગત વર્ષની સરખામણીમાં ચાલું વર્ષે ઘઊં અને તલનો પાક વધારે થશે અને વરસાદ મધ્ય રહેશે તેવી અષાઢી મુજબ ધારણા છે. ગત વર્ષની સરખામણીમાં અષાઢી નીચે મુજબ રહી હતી.

ધાન્યનું નામ

 ૨૦૧૦

૨૦૧૧


મગ

૨ વધારે

 

સમધારન

 

ડાંગર

 

૪ વધારે

 

સમધારન

 

જુવાર

 

૨ વધારે

 

૫ વધારે

 

ઘઊં

 

૬ વધારે

 

૬ વધારે

 

તલ

 

૬૮ વધારે

 

૭૩ વધારે

 

અડદ

 

૧  વધારે

 

સમધાન

 

કપાસ

 

૨ વધારે

 

૨ વધારે

 

ચણા

 

૧ વધારે

 

૧ વધારે

 

બાજરી

 

૧ વધારે

 

૧ વધારે

 

માટી

II વધારે

II રતી ઓછી

 

ઉમરેઠમાં સંતરામ મંદિર ખાતે ગૂરૂપૂર્ણિમાં મહોત્સવની ઉજવણી


ઉમરૅઠ સંતરામ મંદિર ખાતે ભક્તિભેર ગુરૂપૂર્ણિમાં ઉત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના લોકો મોટિ સંખ્યામાં પૂ.ગણેશદાસજી મહારાજના આશીર્વાદ લેવા આવી પહોંચ્યા હતા. ઉમરેઠ સંતરામ મંદિરમાં ધાર્મિક મંત્રોચ્ચાર સાથે ગૂરૂપુજન કરી ભક્તોએ ધન્યતાની લાગણી વ્યક્ત કરી હતી. ગૂરૂપૂર્ણિમાં નિમિત્તે સંતરામ મંદિરમાં મહા પ્રસાદનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

ઉજ્જળ ઉમરેઠમાં ગૌરીવ્રત દરમ્યાન રેલ્વે સ્ટેશન પીકનીક સ્પોટ બન્યુ..! (Gauri Vrath X-lusive VIDEO)


  • બાગ બગીચા ન હોવાને કારણે જીવના જોખમે રેલ્વે સ્ટેશન પીકનીક મનાવતી યુવતિઓ અને મહિલાઓ

ઉમરેઠનગરમાં છલ્લા કેટલાય વર્ષોથી ગૌરીવ્રત દરમ્યાન પીકનીક સ્પોટ તરીકે રેલ્વે સ્ટેશન લોકપ્રિય બન્યું છે. તમને થશે કે રેલ્વે સ્ટેશન અને પીકનીક સ્પોટ..? તો જાણી લો મજબુરીકા નામ મહાત્મા..! ઉમરેઠની મહિલાઓ અને યુવતિઓ નગરમાં કોઈ ઢંગઢળા વાળો બાગ-બગીચો ન હોવાને કારણે રેલ્વેના પાટા ઉપર પીકનીક મનાવવા મજબુર થઈ ગઈ છે અને આ પરંપરા એક બે વર્ષથી નહી પરંતુ કેટલાય વર્ષોથી ચાલી રહી છે. ત્યારે છેલ્લા કેટલાય વર્ષોમાં ગામમાં કોઈ માઈના લાલ બાગ બગીચા બનાવવા માટે આગળ ન આવ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સરકાર ધ્વારા કરોડોની ગ્રાન્ટ આવતી હોવા છતા સંસદ સભ્યો કે ધારા સભ્યો કોઈને ગામમાં કોઈ બાગ-બગીચા બનાવવાનું સુજ્યું નથી. ઉલટું જે બાગ બગીચા હતા તેનો પણ યોગ્ય રખરખાવને કારણે ઉકરડો બની ગયો છે. જ્યારે ઉમરૅઠના ઓડ બજાર વિસ્તારમાં તો કોઈ ગામનું ભલું ઈચ્છનાર નાગરિકે પોતાની જમીન બાગ બનાવવા આપી હતી તેની ઉપર પાલિકા તંત્ર ધ્વારા શોપિંગ સેન્ટર બનાવી રોકડી કરી દેવામાં આવી છે. દૂવિધાની વાતતો એ છે કે આ પાલિકાનું શોપિંગ સેન્ટર બન્યું છતા પણ આ જમીનના મુખ્ય પ્રવેશ ધ્વાર ઉપર જમીન દાનમાં આપનાર દાતાના નામ સાથે “શ્રીજીબાગ” લખેલ દ્વાર પણ આજે અડીખમ છે. ત્યારે જે દાતાએ બાગ બગીચા બનાવવા જમીન આપી હતી તે જમીન ઉપર તંત્ર ધ્વારા કાયદાની રમતો રમી શોપિંગ સેન્ટર બનાવવામાં આવતા નગરજનો છાનામાના તંત્ર ઉપર ફિટકાર વર્ષાવી રહ્યા છે.

બ્રહ્માકુમારી કેન્દ્ર અને સંતરામ મંદિર આશાનું કિરણ…!

ઉમરેઠની બે ધાર્મિક સંસ્થાઓ ધ્વારા પોતાના સંકૂલમાં યોગ્ય રીતે રખરખાવ કરી સુંદર બાગ બગીચા બનાવ્યા છે. ત્યારે નગરની જનતા આ બાગ બગીચાનો સારી રીતે ઉપયોગ કરે છે. પરંતું એક સાથે ગામના લોકો પીકનીક માટે આ જગ્યાએ પહોંચે તો આ જગ્યા સાંકળી પડે છે. ત્યારે તંત્ર દ્વારા મોટા બાગ બગીચા બનાવવા માટે સાર્થક પગલા ભરવા જરૂરી છે. હાલમાં તો સંતરામ મંદિર અને બ્રહ્માકુમારી કેન્દ્ર લોકો માટે આશાનું કિરણ છે.

ઉમરેઠની નવાજૂની…


  • ઉમરેઠમાં ચોરીની વારદાતો વધવા લાગી છે. થોડા સમય પહેલા બસ સ્ટેશન વિસ્તારની સોસાયટીમાં રાત્રીના ચોર આવ્યા હતા પણ ઘર માલિક એકદમ જાગી ગયા જેથી ચોરો બોણી કર્યા વગર પાછા ગયા હતા.
  • સાયકલ અને સ્કૂટરની ચોરી કરતી ગેંગ ઉમરેઠમાં સક્રીય થઈ ગઈ છે. થોડા સમય પહેલા નગરમાં સાયકલ ચોરીના બનાવો બન્યા હતા અને ગઈકાલે ઓડ બજાર માંથી એક સ્કૂટરની પણ ચોરી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
  • બે દિવસ પછી ગૌરીવ્રત શરૂ થશે. ગૌરીવ્રતને ધ્યાનમાં રાખી બજારમાં સૂક મેંવો (મોંધોમેવો)ખરીદવાનું શરૂ થઈ ગયું છે. અને યાદ છે ને ઉમરેઠમાં ગૌરીવ્રત એટલે સાજે રેલ્વે સ્ટેશન જઈ મિજબાની કરવાની..!
  • ઉમરેઠમાં વરસાદ બાદ સાંજે મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. હવે, નગરપાલિકા માળીયેથી ફોગિંગ મશીન બહાર કાઢે અને તેનો સદ-ઉપયોગ કરે તે જરૂરી છે. રાહતની વાતએ છે કે આખરે વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતોને હાશકારો થયો છે.
  • ઉમરેઠ સંતરામ મંદિરમાં ગૂરૂપૂર્ણિમાની ઉજવણી તા.૧૫/૭/૨૦૧૧ના રોજ કરવામાં આવશે.

ઉમરેઠ બસ સ્ટેશનમાં બસ ઉભી રાખવાની પધ્ધતિથી મુસાફરો પરેશાન


  •  નિયત પ્લેટફોર્મ ઉપર બસ ઉભી રહે તેવી વ્યવસ્થા કરવાની જરૂર.

બસ સ્ટેશનના પ્રવેશદ્વાર પાસે ઉભ રહેવા મજબુર મુસાફરો

બસ પાછળ દોડા દોડી કરવા મજબુર મુસાફરો

ઉમરેઠ બસ સ્ટેશનનું નવિનીનકરણ થઈ ગયું હોવા છતા પણ હજૂ મુસાફરો બસ સ્ટેશનમાં બસ ઉભી રાખવાની પધ્ધતિને કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. બસ સ્ટેશનમાં આવતી બસ ગમે ત્યાં ઉભી રહેતી હોવાને કારણે મુસાફરોને બસ પકડવામાં બસ ની પાછળ દોડા દોડ કરવી પડે છે ત્યારે આ સમયે વૃધ્ધો અને મહિલાઓને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે.

ઉમરેઠ બસ સ્ટેશનમાં પહેલા બે વિભાગ હતા જેમાં આગળના વિભાગમાં ડાકોર તરફ જતી બસ ઉભી રહેતી હતી જ્યારે પાછળના વિભાગમાં વડોદરા, અને અમદાવાદ તરફ જતી બસ ઉભી રહેતી હતી ત્યારે આ સમયે મુસાફરો પોતાની નિયત જગ્યાએ જ ઉભા રહી સરળતાથી બસ મેળવી શકતા હતા. જ્યારે હાલમાં ઉમરેઠ બસ સ્ટેશન સી આકારનું બનાવવામાં આવેલ છે. બસ સ્ટેશનમાં આર.સી.સી ફ્લોરીંગ સહીત અન્ય સુવિધાઓ પણ સારી રીતે આપવામાં આવી છે અલગ અલગ ગામ તરફ જતી બસ માટે જુદા જુદા પ્લેટફોર્મ પણ બનાવાયા છે. પણ પ્લેટફોર્મ ઉપર કઈ બસ આવીને ઉભી રહેશે તેઓ કોઈ ઉલ્લેખ ન કરવામાં આવતા બસના ડ્રાઈવરો પોતાની મરજી મુજબ બસ સ્ટેશનમાં બસ ઉભી રાખે છે.હાલમાં ચોમાસાનો સમય ચાલી રહ્યો છે ત્યારે મહિલાઓ બાળકો પોતાના માલ સામન સાથે બસમાં ચઢવા માટૅ બસની ગોળ ગોળ ફર્યા કરે છે જ્યારે બસ ડ્રાઈવર જ્યાં બસ ઉભી રાખે ત્યાં પોતાના બાળકો અને માલ સામાન લઈ મહિલાઓને જવું પડે છે. વૃધ્ધ મુસાફરોને પણ આવા સમયે મુશ્કેલી પડે છે.

ગમે ત્યાં બસ ઉભી રહેતી હોવાને કારણે મુસાફરોએ ફરજીયાત બસ સ્ટેશનના પ્રવેશ પાસે ઉભા રહેવું પડે છે ત્યાં કોઈ પાકો શેઢ ન હોવાને કારણે વરસાદમાં મુસાફરો હેરાન થઈ જાય છે અને જો વરસાદથી બચવા પ્લેટફોર્મ ઉપર મુસાફરો જતા રહે તો બસ ત્યાં આવતી ન હોવાને કારણે બસ ચુકી જવાનો પણ તેઓમાં ભય રહે છે. ત્યારે એસ.ટી તંત્ર આ અંગે ગંભઈરતાથી વિચારી બસ નિયત કરેલ પ્લેટફોર્મ ઉપર ઉભી રહે તેવી વ્યવસ્થા કરે તેવી લોકમાંગ થઈ રહી છે. બાકી આવનારા સમયમાં ઉમરેઠની પ્રજા આંદોલનના માર્ગે ચઢે તો નવાઈ નહી.

ઉમરૅઠમાં મેહૂલીયાનું પુજન કરવામાં આવ્યું.


ગઈકાલેજ ઉમરૅઠ સિઝનનો પહેલો વરસાદ થપ્પો કરીને ગયો ત્યારે ખેતી લાયક વરસાદ આવે તે હેતુથી ઉમરેઠના ઓડ બજારના વહેપારીઓ ધ્વારા વરસાદને રીઝવવા માટે મેહૂલીયાનું પુજન કરવામાં આવ્યું હતું. આ સમયે ઓડ બજારના વહેપારીઓ સહીત અન્ય નગરજનો પણ ઉપસ્થીત રહ્યા હતા. કહેવાય છે મેઘરાજાને રીઝવવા હોય તો, માટીના બનેલા મેહૂલીયાની ઉપર બધા પાણી પધરાવે અને મેહૂલીયાને ભીંજવી નાખે ત્યારે અચુક મેઘરાજા પધરામની કરે છે.

ચોમાસીની મોસમ શરૂ થયે પંદર થી વીશ દિવસ જેટલો સમય વહી ગયો હોવા છતા ઉમરેઠમાં માત્ર એક વાર મેઘરાજાએ થપ્પો કર્યો હતો જેના કારણે ઉમરેઠ પંથકમાં ખેડૂતો સહીત અન્ય નગરજનોમાં ચિન્તાની લાગણી વ્યાપી ગઈ છે ત્યારે ઓડ બજારના વહેપારીઓ ધ્વારા મેહૂલીયાનું પુજન કરાતા લોકો વરસાદને લઈ આશાવાદી બન્યા છે. ઓડ બજારના અગ્રણી વહેપારી રાજૂભાઈ શહેરાવાળાએ પુજા સફળ કરવા ભારે જહેમત ઉઠાવી હતી.

ઉમરેઠમાં ચોમાસું – Moon Soon Memories


દેર સે આયે દુર..! ..આખરે આપણા ઉમરેઠમાં વરસાદ પડ્યો ખરો..! આમ જોવા જઈયે તો વરસાદની વાતમાં આપણું ઉમરૅઠ પહેલેથી થોડું પાછું છે, મેઘરાજા જાણૅ આપણા ઉમરૅઠથી રીસાયેલા હોય તેમ લાગે છે. કેટલીય વખત તેવું જોવા મળ્યું છે કે ડાકોરમાં ધમધોકાર વરસાદ પડતો હોય, લીંગડામાં પણ ધમધોકાર વરસાદ પડતો હોય અને બેચરી સુરેલીમાં પણ વરસાદની ધાર સાંબેલા જેટલી હોય પણ ઉમરૅઠમાં વરસાદનું નામોનિશાન ન હોય. આખું ચરોતર ભીંનું ને આપણું ઉમરેઠ કોરૂ ધાક્કોર..!

પણ આજે ઉમરૅઠમાં સિઝનનો પહેલો વરસાદ આવ્યો. માટી પહેલા વરસાદમાં ભીંજાય એટલે અનેરી સુંગંધ આવે જેનો અહેસાસ ખુબ સરસ હોય છે. વરસતો વરસાદ અને ઘરમાં બારી ઉપર બેસી મસ્ત મઝાના ગરમા-ગરમ ભજીંયા ખાવાની મજા જ કાંઈ અલગ હોય છે. વરસાદમાં ભીંજાવાનો આનંદ અનેરો  હોય છે. આપણે તો વરસાદમાં ભીંજાવા માટૅ બહાના જ શોધતા હોઈયે છે અને હા બહાનું ન મળે તો પણ કાંઈ ચિન્તા નહી એક બે મિત્રોને ભેંગા કરી બસ સ્ટેશન તરફ હાલતા હાલતા વરસાદમાં ભીંજાતા ભીંજાતા પ્રયાણ કરવાનું ને મસ્ત ગરમા ગરમ ચા ની ચુસ્કી અને ગોટાનો આનંદ લેવાનો..કેટલી મસ્ત મઝાની લાઈફ વરસાદમાં ભીંજાવાનું..ચા પીવાની..અને પછી ચટની ને ગોટા…! ..પણ ગઈ કાલે વરસાદ એવા ટાઈમ પળ્યો કે, બજારમાં ગોટા કે ચટણીનું નામોનિશાન ન હતું પણ મિત્ર મિતેષ ને હું ગરમા ગરમ “ચા”ની ચુસ્કી લેવા ઉપડી ગયા અને ગામમાં આમ તેમ રખડી પહેલા વરસાદની મઝા લીધી. ગઈકાલે વરસાદ પડ્યો ત્યારે ફરતા ફરતા અમે બસ સ્ટેશન વિસ્તારમાં પહોંચ્યા ત્યાં એક વિજળીના થાંભલા ઉપર મોટો ધડાકો થયો સાથે તણખાં ની ઝોળ ઊડી સદનસીબે કોઈને કાંઈ થયું ન હતુ અને ઉમરેઠમાં લાઈટો કલાક સુધી ડૂલ થઈ ગઈ હતી. પહેલા જ વરસાદમાં ઉમરેઠની વીજ કંપણીવાળાને દોડા દોડ થઈ ગઈ.

..અરે હા આ વરસાદમાં માત્ર એક વાત ગમતી નથી, ધોધમાર વરસાદનો આનંદ ચરમસીમાએ હોય અને દુશ્મન ચશ્મા સાફ કરવા પડે, આ સમયે ચશ્માને તો તોડી નાખુ, ફોડી નાખુને ભૂક્કો કરી નાખુ તેવું મન થાય પણ તેવું ન કરાય… બોસ ગુસ્સો કાબુમાં રાખવો જ પડે. ઉમરૅઠમાં વરસાદ પડે એટલે ઓડ બજાર સ્વામિનારાયણ મંદિર, દૂધ ની ડેરી, ખારવાવાડી અને વડાબજાર વિસ્તારમાં ધુંટણીયા પાણી ભરાઈજ જાય આ સમયે જો સ્કૂટર આ વિસ્તાર માંથી બંધ થયા વગર કાઢી નાખો તો તમે ખરા…! પણ આ વિસ્તારોમાં સ્કૂટર ઉપરથી ઉતરીને સ્કૂટર ચલાવતા લોકો જ એટલા બધા હોય કે તે જોઈ તમે સ્કૂટર અહિયા નાખવાનો પ્રયાસ પણ ન કરો…!

આમતો વરસાદ મને ખુબ ગમે છે, પરંત કેટલીય સમયે વરસાદ રુદ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે કંપારી છુંટી જાય છે. થોડા વર્ષોથી ઉમરૅઠમાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હોય તેવા દિવસો આવ્યા નથી અને કાયમ ન આવે તે જ સારૂં. પૂરની પરિસ્થીતીમાં બિચારા સોસાયટી વિસ્તારના લોકોની ખરેખર દયા આવી જાય છે તેઓ માટે જાયે તો જાયે કહાં..? પ્રશ્ન પેદા થઈ જાય છે. ઉમરૅઠના સ્થાનિકો હોય તો પોત પોતાના સ્વજનો કે મિત્રોને ત્યાં પણ શરણ લઈ લે પણ બહારના લોકોની હાલત ખુબજ ખરાબ થઈ જાય છે.

લગભગ પાંચ સાત વર્ષ પહેલા પૂરનું રુદ્ર સ્વરૂપ ઉમરેઠમાં જોયું હતું જોત જોતામાં પાણી ની સપાટી વધવા માડી હતી અને કેટલાય લોકોને પોતાના ઘરનો સામાન પણ ઉચોં કરવાની તક પણ મળી ન હતી. સોસાયટી વિસ્તારના લોકો માટે પૂર એક વિકટ સમસ્યા હતી. ખાસ કરીને ઉમરેઠની કર્ણાવટી થી રજનીનગર સુધીની સોસાયટીની હાલત અત્યંત ગંભીર હતી તેમજ ઓડ બજાર ખરીદ વેચાણ સંઘમાં પણ દુકાનોની અંદર પાણી જતા રહ્યા હતા. બીજી બાજૂ ઉમરૅઠ ડાકોર માર્ગ લગભગ ત્રણ દિવસ સુધી બંધ રહ્યો હતો અને કેટલાય વાહનો અટવાયેલા રસ્તા ઉપર ત્રણ દિવસ સુધી પડ્યા રહ્યા હ્તા આ સમયે અસરગ્રસ્તોની વહારે ઉમરૅઠની કેટલીક સામાજીક સંસ્થાઓ આવી હતી. પૂર આવે ત્યારે ઉમરેઠના લોકો ડાકોર પાસે શેઢી નદીનું પાણી જોવા અચુક જાય..! શેઢી નદી રસ્તા ઉપર વહેતી જોવાની મઝા જ કાંઈ ઓર છે. લગભગ ત્રણ દિવસ દરોજ્જ સવારથી ગામમાં પુર ગ્રસ્ત વિસ્તારોમાં રખડપટ્ટી કરવા હું, મિતેષ, અને હિરેન ફર્યા હતા અને પુરના પાની જોઈ બસ સ્ટેશન વિસ્તારમાં ગોટ અને ચા ની જીયાફત માણતા..!

…ખેર હવે, ઉમરૅઠમાં મેઘરાજાનું આગમણ થઈ જ ગયું છે ત્યારે સૌ કોઈને મારા તરફ થી “હેપ્પી મોનસુન”…!

ઉમરેઠ લાયન્સ કલબનો પદગ્રહણ સમારોહ યોજાયો


ઉમરેઠની લાયન્સ તથા લાયોનેસ કલબના નવા વર્ષના હોદેદારોનો પદગ્રહણવિધિ સમારોહ તાજેતરમાં યોજાયો હતો. આ પ્રસંગે પદગ્રહણ વિધિ કરાવવા માટે ડી.ગવર્નર ગીરીષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને લાયન્સ તેમજ લાયોનેસ ક્લબના પ્રમુખ તેમજ તેઓની ટીમની વરણી કરી હતી.લાયન્સ કલબના પ્રમુખ તરીકે રમેશભાઇ એમ.કાછીયા, મંત્રી તરીકે સુભાષભાઇ ભાવસાર જયારે લાયોનેસ કલબના પ્રમુખ તરીકે બીનાબેન શાહ તથા મંત્રી તરીકે ગીતાબેન દરજીની વરણી કરવામાં આવી હતી. સમારોહ દરમ્યાન ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ વિસ્ણુભાઈ પટેલ તેમજ ઉપ-પ્રમુખ સંજયભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાયક્રમનું સફળ સંચાલનસંચાલન દિપકભાઇ શેઠે કર્યું હતું. જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્લબના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

ઉમરેઠની શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે ઈનામ વિતરણ સમારોહ યોજાશે.


ઉમરેઠની શ્રી સરસ્વતી વિદ્યાલય સ્કૂલના ધો.૧૦ અને ધો.૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરવા માટે તા.૧૦.૭.૨૦૧૧ને રવીવારના રોજ “સરસ્વતી વંદના” કાર્યક્રમ યોજવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે સંજયભાઈ નવિનભાઈ સુત્તરીયા તેમજ સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થીત રહી બાળકોને પ્રોત્સાહીત કરશે. શ્રી સરસ્વતી સ્કૂલના વહીવટકર્તાઓના મત અનુસાર આવા કાર્યક્રમથી તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે છે અને અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે છે. અત્રે ખા ઉલ્લેખનિય છે કે, શ્રી સરસ્વતી સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને વિકાસને લગતા અનેક કાર્યક્રમ કરવામાં આવે છે.

NASIKVALA HALL – UMRETH (NEW LOOK)


(ફોટો – મુકુંદભાઈ શાહ)

This slideshow requires JavaScript.

ઉમરૅઠના મોટા ભાગના ખડાયતા બંધુ સહીત અન્ય નગરજનોના શુભ પ્રસંગોનો સાક્ષી તેવો નાસિકવાળા હોલ તાજેતરમાં નવા-રૂપ રંગમાં રંગાઈ ગયો છે. નાસિકવાળા હોલના નવા રૂપ રંગ અંગે નાસિકવાળા હોલના પ્રમુખ મુકુંદભાઈ શાહના જણાવ્યા મુજબ સમય બદલાતી સાથે કેટલાક આધુનિક ફેરફાર કરવા જરૂરી છે. હવે હોલમાં એ.સી સુવિધા સાથેની રૂમ પણ ઉપલબ્ધ બની છે. જેથી એન.આર.આઈ જ્ઞાતિજનો સહીત નગરજનો ઉમરૅઠમાં પોતાના ઘર આંગણેથી શુભ પ્રસંગો ઉજવી શકશે.

નાસિકવાળા હોલને વધુ અદ્યતન બનાવવા આપણી પાસે કોઈ વિચાર હોય કે તમે નાસિકવાળા હોલના વધુ વિકાસ માટે કોઈ સહયોગ આપવા ઈચ્છા ધરાવતા હોવ તો આપ નિસંકોચ શ્રી મુકુંદભાઈ શાહને તેઓના ઈ-મેલ – mmmabap@gmail.com ઉપર સંપર્ક કરી શકો છો.