આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: July 2014

ઉમરેઠ ઓડ ઓવર બ્રીજ પર પૂનઃ જોખમી ગાબળા સાથે સળિયાના ડોકાચિયા…!


આર.સી.સીના ઓવર બ્રીજ ઉપર ડામરથી ગાબળા પુરાયા હતા,

એક જ વરસાદમાં ઓવરબ્રીજ હાંફી ગયો…!

IMG_20140730_103136

ઉમરેઠ ઓડ ઓવર બ્રીજ હંમેશા માટે વિવાદનું કારણ બની રહે છે. પહેલા સદર ઓડ બ્રીજ બનવા માટે લાગેલા સમયને લઈ સ્થાનિકો સહીત રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા ત્યાર બાદ ઓવર બ્રીજ બન્યા પછી પણ રાહદારીઓની પરેશાની ઠેર ની ઠેર છે. હાલમાં ઓડ ઓવર બ્રીજનો મધ્ય એટલે કે રેલ્વે ટ્રેક પરનો ભાગ બિસ્માર થઈ ગયો છે,આ અગાઉ બે-ત્રણ માસ પહેલા પણ ઓવરબ્રીજ ઉપર ગાબળા પડ્યા હતા અને સ્લેબના સળીયા બહાર દેખાતા હતા ત્યારે અખબારી અહેવાલના પગલે ઓડ ઓવર બ્રીજ ઉપર ગાબળા પુરવામાં આવ્યા હતા પરંતુ હાલમાં પડેલા ભારે વરસાદમાં પૂન સદર બ્રીજ ઉપર ધોવાન થઈ ગયું છે અને ઓવર બ્રીજ ઉપર પૂનઃ સળીયા ઉપસી આવ્યા છે જેને કારણે આ ઓવર બ્રીજ પર થી પસાર થતા વાહન ચાલકોના માટે જોખમ ભમી રહ્યું છે ખાસ કરીને રાત્રીના સમયે પુર ઝપાટે જતા વાહનો સદર ગાબળા માંથી ડોકાચિયા કરતા સળીયાથી ત્રસ્ત થઈ ગયા છે. સદર બ્રીજ પર કેટલાય વાહન ચાલકોના વાહનોમાં ઉપસેલા સળીયાને કારણે પડી જવાના પણ બનાવો બન્યા હોવાનું સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે.વડોદરા તરફ જતો તમામ ટ્રાફીક આ ઓવર બ્રીજનો જ ઉપયોગ કરે છે. સતત અવર જવર થી વ્યસ્ત તેવા સદર ઓવર બ્રીજ ઉપર સ્લેબના સળીયા ઉપસી આવ્યા હોવાને કારણે ભવિષ્યમાં કોઈ મોટી હોનહારત થાય તો નવાઈ નહી હવે તે જોવાનું રહ્યું કે તંત્ર કોઈ મોટી હોનહારત પછી જાગશે કે પછી પહેલા…?

તંત્ર અકસ્માતની રાહ જોવે છે…?

ઓડ ઓવર બ્રીજ પરથી પસાર થતા વાહન ચાલક અલ્પેશભાઈ તલાટીએ જણાવ્યું હતુ કે,”હું અવાર નવાર ઓડ ઓવર બ્રીજનો ઉપયોગ કરું છું,છેલ્લા કેટલાય દિવસથી ઓવર બ્રીજનો મધ્યભાગ બિસ્માર છે તંત્ર આ અંગે કોઈ નક્કર પરિણાત્મક પગલા નહી લે તો આવનારા દિવસોમાં ઓડ ઓવરબ્રીજ પર મોટો અકસ્માત થાય તો નવાઈ નહી”.

ઉમરેઠના જ્વેલર્સની દૂકાનોમાં પોલીસે નિરીક્ષણ કર્યુ


  • સી.સી.ટી.વી ન રાખનાર વહેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી

chokshibazar

ઉમરેઠના ચોકસી બજારમાં આવેલ જ્વેલર્સની દૂકાનોમાં ગતરોજ ઉમરેઠ પોલીસ તેમજ એસ.ઓ.જી આણંદ દ્વારા સંયુક્ત રીતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ અને જ્વેલર્સના વહેપારીઓ પોતાની દૂકાનોમાં વ્યવસ્થીત રીતે સી.સી.ટી.વી કેમેરા ગોઠવ્યા છે કે નહી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. નગરના ચોકસી બજારના ચાર થી પાંચ જેટલા વહેપારીઓની દૂકાનમાં સી.સી.ટી.વી કેમેરા ન હોવાને કારણે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ તેઓને પોતાની દૂકાનમાં સી.સી.ટી.વી કેમેરા લગાવવા માટે સુચણો કરવામાં આવ્યા હતા. વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ ઉમરેઠ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ યુ.એ.ડાભી તેમજ એસ.ઓ.જી આણંદની ટીમ દ્વારા ઉમરેઠના ચોકસી બજારમાં વહેપારીઓ દ્વારા સી.સી.ટી.વી કેમેરા લગાવવામાં આવ્યા છે કે નહી તે અંગે નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતુ આ સમયે ચાર થી પાંચ જેટલા વહેપારીઓની દૂકાનમાં સી.સી.ટી.વી કેમેરા ન હોવાને કારણે એસ.ઓ.જી આણંદ દ્વારા તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ તેઓને જામીન પર મુક્ત કર્યા હતા અને આ અંગે વધુ તપાસ ઉમરેઠ પોલીસને સોપી હતી.

ઉલ્લેખનીય છે કે જ્વેલર્સની દૂકાનોમાં સી.સી.ટી.વી કેમેરા રાખવા માટે પોલીસ દ્વારા અગાઊ પણ વહેપારીઓને સુચણો કરવામાં આવ્યા હતા છતા પણ કેટલાક વહેપારીઓ દ્વારા તેને અમલ કરવામાં આવ્યો ન હતો, આખરે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કેટલાક વહેપારીઓને આ અંગે ખબર પડતાજ દૂકાનો બંધ કરી જતા રહ્યા હતા. વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતુ કે આવનારા દિવસોમાં પણ આજ રીતે સર્પ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે અને કોઈ વહેપારી દ્વારા સી.સી.ટી.વી નહી લગાવવામાં આવ્યા હોય તો વધુ કડક પગલા ભરવામાં આવશે.

ઉમરેઠ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ યુ.વી.ડાભીએ જણાવ્યું હતુ કે હાલમાં જ્વેલર્સો સહીત મોટી દૂકાનોમાં થતા ચીલ ઝડપ તેમજ ચોરીના બનાવોમાં સી.સી.ટી.વી હોય તો તપાસમાં સરળતા રહે છે અને ગુન્હેગારોને ઝડપથી પકડી સકાય છે જેથી જ્વેલર્સ સહીત અન્ય વધુ અવર જવર ધરાવતા કોમર્શિયલ એકમોમાં સી.સી.ટી.વી લગાવવા હિતાવત છે. આમ કરવાથી દૂકાનદારોની સુરક્ષામાં વધારો થશે અને સી.સી.ટી.વી લાગેલા હોવાથી અસામાજિક તત્વો પોતાની નાપાક પ્રવૃત્તિને અંજામ આપતા રોકાઈ પણ શકે છે.

ઉમરેઠ ચોકસી મહાજનના હોદ્દેદારો વરાયા

ઉમરેઠ ચોકસી મહાજનના નવા વર્ષના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. નવા વર્ષના પ્રમુખ પદે ઉમરેઠના દિવ્યેશ મદનલાલ દોશીની પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલ સમારોહમાં પદ ગ્રહણ પુરોહીત પદે હેમંતભાઈ અંતાણી(આણંદ),રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદીયા ખાસ ઉપસ્થીત રહ્યા હતા. નવા વરણી પામેલ પ્રમુખ દિવ્યેશભાઈ ચોકસીને પૂર્વ પ્રમુખ જયંતભાઈ.ઓ.ચોકસીએ પદભાર સુપ્રત કર્યો હતો. ચોકસી મહાજનના હોદ્દેદારોની વરણીના દિવસે જ ઉમરેઠ પોલીસ દ્વારા જ્વેલર્સની દૂકાનોમાં સી.સી.ટી.વી અંગે નિરીક્ષણ હાથ ધર્યું હતુ ત્યારે પોતાના પ્રાસંગીક પ્રવચણમાં રાજ્ય સભા સાંસદ લાલસિંહભાઈ વડોદીયાએ જણાવ્યું હતુ કે સી.સી.ટી.વી કેમેરાનો ઉપયોગ તમામ વહેપારીઓએ કરવો જોઈયે સરકાર દ્વારા પણ આ અંગે સુચણો કરવામાં આવ્યા છે જેનાથી વહેપારીઓને જ ફાયદો છે ચીલઝડપ અને ચોરીના બનાવોમાં સી.સી.ટી.વી ફુટેજ થી કેટલાય કેસ ભૂતકાળમાં સોલ્વ થયા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોકસી મહાજન ઉમરેઠે ૫૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

ગોપાલ મારો પારણિયે ઝુલે રે… શ્રી સ્વામિનારાયણ મંદિર – હિંળોડા દર્શન


ઉમરેઠના વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રીજીને હિળોડે ઝુલાવવામાં આવે છે,ગતરોજ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં વિદેશી ચલણ નોટોના હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું હતુ જે દિવ્ય દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ધન્યતા અનુભવી હતી

ઉમરેઠના કોર્ટ રોડ વિસ્તારમાં સાપનો કણો દેખાતા ફફડાટ


 સાપના કણાને પકડી સુરક્ષિત સ્થળે છોડી મુકાયો

3 1

ચોમાસાના દિવસોમાં દર માંથી સાપ બહાર આવાના કેટલાય બનાવો બને છે, ખાસ કરીને આવા બનાવો ગામની ભાગોળો કે રહેણાંક વિસ્તારથી દૂર બનતા હોય છે, પરંતુ ઉમરેઠ નગરમાં આવેલા કોર્ટરોડ વિસ્તારમાં સાપનો કણો દેખા દેતા સ્થાનિકો ભયભીત થઈ ગયા હતા. આ સાપનો કણો નાનો હોવા છતા આક્રમક હતો અને ફેણ પણ કાઢતો હોવાથી લોકોમાં ભયની લાગણી વ્યાપી હતી પરંતું તેજ સમયે આ વિસ્તાર માંથી પસાર થતા એક રાહદારીએ સાપના કણાને પકડી એક બાટલમાં પૂરી દીધો હતો અને ગામની ભાગોળે ખુલ્લી સુરક્ષિત જગ્યાએ જઈ તેને છોડી મુક્યો હતો જેથી સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે રહેણાંક વિસ્તારમાં પણ સાપ દેખાતા લોકોમાં ભયની લાગણી વ્યાપેલ છે.

શ્રી સરસ્વતી સ્કૂલના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત કરી


police_school

ઉમરેઠની શ્રી સરસ્વતિ સ્કૂલના વિદ્યાર્થીઓએ સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત ઉમરેઠ પોલીસ સ્ટેશનની મુલાકાત કરી હતી. આ સમયે પી.એસ.આઈ ડાભીએ વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની કાર્યવાહી સમજાવી હતી. આ સમયે ઉમરેઠ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ, સરસ્વતી સ્કૂલના શિક્ષકો સહીત ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ સુજલ શાહ ઉપસ્થિત રહ્યા હતા.વિદ્યાર્થીઓએ જણાવ્યું હતુ કે પહેલા તેઓ પોલીસ થી ગભરાતા હતા પરંતુ તેઓની કામગીરી જોઈ હવે પોલીસ તો પ્રજાનો મિત્ર છે તેવો અહેસાસ થયો.

ઉમરેઠ બાર એશોશીયેશનનું ગૌરવ


praful ઉમરેઠના જાણીતા નોટરી વકીલ અને ઉમરેઠ બાર એશોશીયેશનના પ્રમુખ પ્રફુલભાઈ સુત્તરીયાની ની  તાજેતરમાં બાર કાઊન્સીલ ઓફ ગુજરાતમાં કો.ઓપ્ટ સભ્ય તરીકે નિમણુક કરવામાં આવી છે. તેઓની  ગુજરાત બાર કાઊન્સિલના કો. ઓપ્ટ પદે વરણી થતા ઉમરેઠ બાર એશોશીયેશન સહીત આણંદ જિલ્લાના  વકીલ મિત્રોએ તેઓને શુભેચ્છા પાઠવી હતી. હાલમાં પ્રફુલભાઈ સુત્તરીયા ઉમરેઠ બાર એશોશીયેશનના  પ્રમુખ પદે તેમજ આણંદ જિલ્લા ભાજપ લીગલ સેલના કન્વીનર પદે પોતાની સેવાઓ આપી રહ્યા છે.

જૂવો ઉમરેઠમાં ક્યા ભરાયા પાણી,ક્યાં સર્જાયો ટ્રાફિક અને ક્યા તળાવ છલકાયા..!


ઉમરેઠ ડાકોર રોડ ઉપર સવારે વરસાદને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા કેટલીક જગ્યા ઉપર વૃક્ષ ધરાશય થયા હતા જેથી ઉમરેઠ પોલીસ સ્ટેશનના જવાનો તેમજ પો.સ.ઈ ડાભી દ્વારા યોગ્ય વ્યવસ્થા કરી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સવારે વરસાદ વધારે હોવાને કારણે વૃક્ષ હટાવવાની કામગીરીમાં મુશ્કેલીઓ પડી હતી લગભગ દોઢ થી બે કલાકની જહેમત બાદ ટ્રાફીક પૂર્વવત થયો હતો.
1
ઉમરેઠની ઓડ ચોકડી પાસે સંતરામ પાર્ટી પ્લોટ બહાર કાંસ માંથી પાણીનો યોગ્ય નિકાલ ન થતો હોવાને કારણે આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જેને કારણે ઓડ ચોકડી પાસે પણ ટ્રાફિક જામ થઈ ગયો હતો. પાલિકા તંત્ર દ્વારા તાબળતોબ જે.સી.બી મશીનથી સદર કાંસ માંથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી બાદમાં પાણી ઓછું થતા આ વિસ્તારમાં પણ ટ્રાફિક પૂર્વવત થઈ ગયો હતો જ્યારે ઓડ ચોકડી પાસે આવેલ ગેરેજ પાસે આવેલ એમ.જી.વી.સી.એલની ડીપીમાં પણ તણખા સાથે ધડાકો થતા વીજ પૂરવઠો ખોરવાયો હતો.
ઉમરેઠના રામ અને વડા તળાવ છલોછલ – લગભગ ૧૨ થી ૧૫ કલાક સુધી અવિરત ચાલુ રહેલા ભારે વરસાદને કારાણે ઉમરેઠનું વડું તળાવ છલોછલ થઈ ગયું હતું. બીજૂ બાજૂ બ્યુટીફીકેશનના તબક્કા માંથી પસાર થઈ રહેલા રામ તળાવમાં પણ પાણી ભરાઈ ગયું હતુ. ચર્ચાઈ રહ્યું છે કે રામ તળાવમાં પાણી ભરાઈ જતા રામ તળાવના બ્યુટીફીકેશનમાં અગવડ પડશે અને આ પ્રોજેક્ટ પૂર્ણ થતા નિયત સમય કરતા વધારે સમય જશે.

ધારાસભ્ય જયંતભાઈ પટેલની રજૂઆતના પગલે – ઉમરેઠ તાલુકાને આગવી ૧૦૮ એમ્યુલન્સની ફાળવણી કરવામાં આવી.


આરોગ્યલક્ષી પ્રશ્નોત્તરી દરમ્યાન જયંતભાઈ પટેલે ઉમરેઠને ૧૦૮ એમ્બ્યુલન્સ ફાળવવા માટે ધારદાર રજૂઆત કરતા આરોગ્યમંત્રી નિતિન પટેલે ઉમરેઠને ૧૦૮ એમ્યુલન્સ ફાળવણી અંગે જાહેરાત કરી.

આરોગ્યલક્ષી પ્રશ્નોત્તરી દરમ્યાન જયંતભાઈ પટેલે ઉમરેઠને ૧૦૮ એમ્બ્યુલન્સ ફાળવવા માટે ધારદાર રજૂઆત કરતા આરોગ્યમંત્રી નિતિન પટેલે ઉમરેઠને ૧૦૮ એમ્યુલન્સ ફાળવણી અંગે જાહેરાત કરી.

આરોગ્યલક્ષી પ્રશ્નોત્તરી દરમ્યાન જયંતભાઈ પટેલે ઉમરેઠને ૧૦૮ એમ્બ્યુલન્સ ફાળવવા માટે ધારદાર રજૂઆત કરતા આરોગ્યમંત્રી નિતિન પટેલે ઉમરેઠને ૧૦૮ એમ્યુલન્સ ફાળવણી અંગે જાહેરાત કરી.

ઉમરેઠ નગરને તાલુકો બને વર્ષો થઈ ગયા હોવા છતા પણ તાલુકા કક્ષાને છાજે તેવી સવલતો થી ઉમરેઠ હંમેશા દૂર રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં ૧૦૮ એમ્યુલન્સ વાનની લ્હાણી કરવામાં આવી હતી ત્યારે ઉમરેઠને ૧૦૮ એમ્યુલન્સ વાનની સેવા માટે ઉમરેઠ પાસેના પણસોરા,ઓડ કે પછી ડાકોર ઉપર નિરભર રહેવું પડતું હતું. આ અંગે ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ પટેલે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી,આરોગ્ય મંત્રી નિતિનભાઈ પટેલ તેમજ આનંદીબેન પટેલને પણ લેખીત રજૂઆતો કરી હોવા છતા કોઈ સકારાત્મક પરિનામો મળતા ન હતા.

આજે વિધાનસભામાં આરોગ્યલક્ષી પ્રશ્નોત્તરી દરમ્યાન ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ બોસ્કીએ સરકારશ્રીને જણાવ્યું હતુ કે ઉમરેઠ તાલુકો હોવા છતા પણ ઉમરેઠને ૧૦૮ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી નથી,આ માટે ઉમરેઠને અન્ય ગામની ૧૦૮ એમ્બ્યુલન્સ પર નિર્ભર રહેવું પડે છે, જેથી ઉમરેઠ અને તેની આજૂબાજૂના ૪૨ ગામના લોકોને રાહત થાય તે માટે ૧૦૮ એમ્બ્યુઇલન્સ સત્વરે ફાળવવામાં આવે તે માટે ધારદાર રજૂઆત કરી હતી. ધારાસભ્ય જયંતભાઈ પટેલની રજૂઆતના પગલે આરોગ્યમંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યું હતુ કે તાજેતરમાં નવી ૫ ૧૦૮ એમ્બ્યુલન્સ વાન આવેલ છે જેમાંથી એક ઉમરેઠને ફાળવવામાં આવે છે. ઉમરેઠને આગવી ૧૦૮ એમ્બ્યુલન્સ વાન ફાળવવામાં આવતા હવે ઉમરેઠ સહીત ઉમરેઠ તાલુકાના ૪૨ ગામના લોકોને આ સેવાનો લાભ ઝડપી મળશે, ઉલ્લેખનીય છે કે આ પહેલા ઉમરેઠમાં ૧૦૮ એમ્બ્યુલન્સ વાન ઓડ,પણસોરા તેમજ ડાકોર સેન્ટર પરથી ઉપલબ્ધ કરવામાં આવતી હતી જેથી જેતે સ્થળે પહોંચવામાં એમ્બ્યુલન્સને સમય લાગત હતો હવે ઉમરેઠ માંજ એમ્બ્યુલન્સ વાનની ફાળવણી થતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે અને ઉમરેઠ વિધાનસભા ક્ષેત્રના લોકોએ ધારાસભ્ય જયંતભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉમરેઠના દરજીવાડનાકા,ચોકસી બજાર તેમજ માળીવાળાની પોળ વિસ્તારના રસ્તાનું નવિનીકરણ કરાશે.


નવી ટી.પી સ્કીમમાં પડેલ બસ સ્ટેન્ડ સામેથી ભગવાન વગાનો રસ્તો ડામરનો બનશે.

ઉમરેઠના ઓડબજાર,કોર્ટરોડ,વડાબજાર, ગુજરાતી સ્કૂલ બાદ હવે નગરના ચોકસી બજાર,કોર્ટરોડ થી પંચવટી તેમજ દરજીવાડના નાકાથી મુળેશ્વર મહાદેવ સુધીના બિસ્માર રસ્તાને તંદુરસ્ત કરી આર.સી.સીના નવા માર્ગ બનાવવામાં આવશે જેને કારણે આ વિસ્તારમાં રહેતા સ્થાનિકો સહીત રાહદારીઓને રાહત થશે. છેલ્લા કેટલાય સમય થી સદર વિસ્તારમાં બિસ્માર થઈ ગયેલા માર્ગને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્ય છે ખાસ કરીને ચોકસી બજાર અને દરજીવાડના નાકા વિસ્તારના રસ્તાઓની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે ત્યારે પ્રજાજનોની રજૂઆતના પગલે આ રસ્તાઓને સત્વરે આર.સી.સીના બનાવવાની તૈયારી નગરપાલિકા તંત્રએ કરી હોવાનું પ્રમુખ સંજયભાઈ પટેલે જણાવ્યું હતુ, તેઓએ ઉમેર્યુ હતુ કે નગરપાલિકા દ્વારા સદર માર્ગને આર.સી.સી બનાવવાનું આયોજન પહેલે થી છે જ અને આવનારા લગભગ દશ થી પંદર દિવસમાં આ માર્ગોને નવા બનાવવાનું કામ શરૂ થઈ જશે. ઉલ્લેખનીય છે કે ઉમરેઠના દરજીવાડના નાકા વિસ્તારમાં બિસ્માર થઈ ગયેલા રસ્તાને કારણે વાહન ચાલકો સહીત સ્થાનિકો હેરાન થઈ ગયા છે નગરનું શાકમાર્કેટ પણ આ વિસ્તારથી નજીક છે જેથી અવર જવર પણ આ વિસ્તારમાં વધારે રહે છે, આ માર્ગ સત્વરે રીપેર કરવામાં આવે તેવી પહેલેથી સ્થાનિકો લાગણી સાથે માગણી વ્યક્ત કરી ચુક્યા છે ત્યારે પાલિકા તંત્રનો સકારાત્મક નિર્ણય આ વિસ્તારના લોકો માટે રાહત લઈને આવશે તેમાં બે મત નથી. વધુમાં પ્રમુખ સંજયભાઈ પટેલે જણાવ્યું હતુ કે, ઉમરેઠ બસ સ્ટેશન થી ભગવાન વગા વિસ્તારનો નવી ટી.પી સ્કીમમાં પડેલ રસ્તો પણ ડામરનો બનાવવામાં આવશે આ માર્ગ બનવાથી બસ સ્ટેશન થી વડાબજાર આવતા ટ્રાફિક બે ભાગમાં વેંચાઈ જશે અને પગલા થી પ્રેમાનંદ શોપિંગ સુધીના માર્ગ પર ટ્રાફિક ઓછો થશે.

ઉમરેઠના ભગવાનવગામાં અસહ્ય ગંદકી


ઉમરેઠના વોર્ડનં.૨માં આવેલ ભગવાનવગા વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી અસહ્ય ગંદકીને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ વિસ્તારમાં મોટા ભાગે ગરીબ અને પછાત વર્ગના લોકો રહેતા હોવાને કારણે તંત્ર દ્વારા સદર વિસ્તારની સતત ઉપેક્ષા કરવામાં આવતી હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. સૌથી વધુ દૂવિધાની વાત તો તે છે કે આ વિસ્તારની બાજૂ માંજ આખા નગરને સાફ રાખનાર હરિજનોનો મહોલ્લો આવેલો છે તેઓએ પણ નિત્ય અવર જવર માટે ભગવાન વગાનો આ ગંદકીથી લથબથ વિસ્તાર પસાર કરવો પડે છે.આ વિસ્તારમાં સરકારી સ્કૂલ, માતાજીનું મંદિર તેમજ રહેણાંક વિસ્તાર પણ છે છતા પણ આ વિસ્તારની સતત ઉપેક્ષાને કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સ્થાનિકો કહે છે કે ચુંટણીના આગલા દિવસોમાં તેઓને ચવાણું અને ઠંડા પીણા ઘરે બેઠા પહોંચાડનાર પાલિકાના સભ્યો ચુંટણી પત્યા બાદ શોધ્યા પણ જડતા નથી અને તેઓને માળખાગત સુવિધા પણ આપતા નથી. આ વિસ્તારની ગરીમાને ધ્યાનમાં રાખી સદર વિસ્તારમાં ગંદકીની સમસ્યા દૂર કરવા માટે વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે વ્યવસ્થા કરી નિત્ય સાફ સફાઈ કરવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક લાગણી વ્યાપી છે.

લો ત્યારે આવી ગયો વરસાદ….


હજૂ કાલેજ ઉમરેઠના જાગનાથ મહાદેવમાં મેઘયજ્ઞ કર્યોને વરસાદ આજે વિધિવત્ પડી ગયો.

નવા રસ્તાની ઉંચાઈને કારણે પાણીનો યોગ્ય નિકાલ નથી થતો.
ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં નવા રસ્તા બનતા સદર વિસ્તારના લોકોએ રાહતની લાગણી અનુભવી હતી પરંતુ વરસાદ પડતાની સાથે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને વરસાદનું પાણી ઓડ બજારમાં ભરાઈ રહેતા આ વિસ્તારના દૂકાનદારો ત્રાહિમામ પોકારી ગયા છે એક ઝાપટા માંજ પાણી ભરાઈ જાય છે અને નવો રસ્તો ઉંચો હોવાને કારણે વરસાદ બંધ થયા બાદ તો પાણી ત્યાં ને ત્યાંજ ભરાઈ રહે છે પરિનામે મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. વધુમાં ઉમરેઠના સ્વામિનારાયણ મંદિર થી પંચવટી તેમજ ભાટપીપળી તરફ જતો ઓડ બજાર સુધીનો રસ્તો ઘંટી સુધી નવો બનાવવામાં આવ્યો છે, આ રસ્તો આર.સી.સીનો હોવાને કારણે તેની ઉંચાઈ જૂના ડામરવાળા રસ્તા કરતા વધારે છે પરિનામે વરસાદનું પાણી સરળતાથી નિકળી શકતું નથી જેને કારણે વરસાદમાં પાણી વહેણવાળું હોય છે ત્યારે તેઓ નિકાલ થાય છે અને વરસાદ બંધ થઈ જતા પાણી ત્યાં જ ભરાઈ રહે છે અને મચ્છરનો ઉપદ્રવ થઈ જાય છે પરિનામે આ વિસ્તારમાં દૂકાન ધારકો મુશ્કેલીમાં મુકાય છે. આ અંગે સદર વિસ્તારમાં રહેતા વત્સલભાઈ સુખડિયાએ જણાવ્યું હતુ કે નવો રસ્તો બનાવતા સમયે જૂના રસ્તા સાથે તેને સરખો ઢાળ આપવામાં તંત્ર દ્વારા ભૂલ કરી હોવાને કારણે પાણીના ભરાવની સમસ્યા સર્જાય છે અને આ વિસ્તારમાં ટ્રાફિક જામ પણ થઈ જાય છે જેથી તંત્ર દ્વારા આ વિસ્તારમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગ છે.
વડાબજારમાં પણ પાણી ભરાઈ રહે છે..!
ઉમરેઠના ઓડ બજાર સાથે વડા બજારમાં પણ જ્યાં નવા રસ્તા બનાવવામાં આવ્યા છે ત્યાં પાણી ભરાઈ રહેવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે કોર્ટ રોડ થી વડાબજાર તેમજ સટાક પોળથી વડાબજાર જવાના માર્ગ ઉપર ત્રણ રસ્તા પડે છે ત્યાં હલકા વરસાદી ઝાપટામાં પાણી ભરાઈ જાય છે જેથી અવર જવર કરવામાં લોકોને મુશ્કેલી પડે છે જેથી આ વિસ્તારમાં પણ પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેમ લોકમાંગ પ્રવર્તમાન બની છે.

ઉમરેઠમાં મેઘયજ્ઞ યોજાયો


ઉમરેઠના જાગનાથ મહાદેવ ખાતે મેઘરાજાને રીઝવવા માટે મેઘયજ્ઞનું આયોજન મધુસુધનભાઈ શાસ્ત્રીના આચાર્ય અને નગરના ધરતીપૂત્રોના યજમાન પદે કરવામાં આવ્યું હતું. ચોમાસું શરૂ થયે લગભગ એક મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતા ઉમરેઠ પંથકમાં નહિવત વરસાદ હોવાને કારણે નગરના ધરતીપૂત્રો સહીત પ્રજાજનો ચિંન્તાતુર થઈ ગયા છે જેને કારણે મેઘરાજાને રીઝવવા માટે મેઘયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ સદર મેઘયજ્ઞમાં ઉમરેઠના નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ઉમરેઠ નગરપાલિકા સ્કૂલ બહાર જોખમરૂપ ખુલ્લા કાંસ..!


  • ખુલ્લા કાંસમાં બાઈક-ચાલક પડતા ગંભીર રીતે ઘવાયો

ઉમરેઠ નગરપાલિકા સ્કૂલ બહાર કાંસ સાફ કરવાની પ્રશંશનીય કામગીરી કરવામાં આવી હતી પરંતુ કાંસ સાફ કર્યા પછી આ કાંસ ખુલ્લા જ રહેવા દેવામાં આવતા આ કાંસ નગરપાલિકા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહીત સ્કૂલની સામે આવેલા શોપિંગ સેન્ટરના વહેપારીઓ અને રાહદારીઓ માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યો છે. વધુમાં હાલમાં નગરના એસ.એન.ડી.ટી મેદાન ખાતે આનંદ મેળો ચાલી રહ્યો હોવાથી રાત્રિના સમયે પણ વધારે અવર જવર રહેતી હોવાને કારણે આ કાંસ લોકો માટે જીવલેન સાબિત થાય તો નવાઈ નથી. વધુમાં ગતરોજ ઉમરેઠનો એક યુવાન આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો અને રાત્રીના સમયે આ ખુલ્લા કાંસનો અંદાજ ન આવતા યુવાન બાઈક સાથે કાંસમાં પડ્યો હતો અને તેને ગંભીર ઈજાઓ થતા તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. ઓડ બજાર શ્રીજીબાગ વાળા શોપિંગ સેન્ટર થી નગરપાલિકા સ્કૂલ સુધી કાંસ તાજેતરમાં સાફ કરી પાલિકા તંત્ર લોકહીત કરવા કટીબધ્ધ થઈ હતી પરંતુ કાંસ સાફ કરી તેને ખુલ્લા મુકવામાં આવતા પ્રજાજનો માટે આ કાંસ મારકણો સાબીત થઈ રહ્યો છે જેથી પાલિકા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ આ વિસ્તારમાં આવેલ શોપિંગ સેન્ટરના વહેપારીઓ સહીત રાહદારીઓના હીતમાં આ કાંસ સત્વરે બંધ કરવામાં આવે તેવી સ્થાનિકો માગણી સાથે લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

ઉમરેઠની નવા જૂની…


  • વરસાદના લક્ષણો આખરે દેખાવા માંડ્યા છે, છેલ્લા બે દિવસથી વરસાદ નહી તો વાદળ તો દેખાવાજ લાગ્યા છે લાગે છે ગૈરીવ્રત પછી મેઘરાજાની એન્ટ્રી પાક્કી, ઉમરેઠમાં ગૌરીવ્રતની શ્રધ્ધાભેર ઉજવણી થઈ રહી છે, સવારના સમયે નગરના વિવિધ મહાદેવમાં નાની બાળકીઓ મોટી સંખ્યામાં પુજા અર્થે જાય છે.
  • ઉમરેઠમાં ગૌરીવ્રતના સમયે રેલ્વે સ્ટેશને પિકનીક કરવા જવાની વર્ષોથી પરંપરા છે જે આજે પણ ચાલી રહી છે, હાલમાં ગૌરીવ્રતને કારણે મોટી સંખ્યામાં લોકો રેલ્વે સ્ટેશન આવે છે. રેલ્વે સ્ટેશન સહીત બ્રહ્માકુમારીઝ કેન્દ્રનો બગીચો પણ હવે લોકો માટે હોટફેવરીટ બની ગયો છે. ઉપરથી નગરના એસ.એન.ડી.ટી મેદાનમાં આનંદ મેળો શરૂ થયો છે અને મેઘરાજા પણ આ વર્ષે ગૌરીવ્રતમાં વિલન નથી બન્યા.
  • ઉમરેઠ નગરપાલિકા અને વિવાદ સિક્કાની બે બાજૂ છે. સત્તામાં કોઈ પણ હોય પણ પાલીકામાં હંમેશા દખ્ખા રહેતા જ હોય છે. હાલમાં નગરપાલિકાના સત્તાધીશો વિરૂધ્ધ નગરમાં એક ભેદી પત્રિકા ફરતી થઈ છે, જેમાં નગરમાં બનતા નવા તળાવના નિર્માણમાં થતો ભ્રષ્ટાચાર સહીત નગરમાં નવા બનેલા રોડમાં વપરાયેલ માલસામાન હલકી કક્ષાનો હોવાની વાત કરવામાં આવી રહી છે.
  • સત્તા અને ભ્રષ્ટાચાર , અને વિકાસ અને ભ્રષ્ટાચાર પણ સિક્કાની બે બાજૂ જ છે, કોઈ પણ પક્ષ કે વ્યક્તિ સત્તા પર આવે અને ભ્રષ્ટાચાર ન કરે તો તે “અપવાદ”ની શ્રેણીમાં મુકી શકાય પણ પ્રવર્તમાન સમયમાં તેવું લગભગ અશક્ય છે સત્તાધીશ જાતે પ્રામાણીક હોય છતા પણ તેઓએ કેટલીક વખત ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન કરવા જ પડે છે જે હકીકત છે.
  • રહ્યો સવાલ ભેદી પત્રિકાનો તો તેમાં ઉલ્લેખ કરેલ વાતોમાં જો રતીભાર પણ સત્ય હોય તો આ પત્રિકા ફરતી કરનાર તત્વોએ કાયદેસરની લડાઈ લડવી જોઈયે, કલેક્ટર અને નગરપાલિકા નિયામક આરામ કરવા નથી બેઠા તે બધા ને ખબર છે. આમ સંતાઈને સત્તાધીશો ઉપર પ્રહારો કરવા આંતકવાદી પ્રવૃત્તિ સમાન છે. જો ખરેખર ભ્રષ્ટાચાર પાલિકામાંથી દૂર કરવો જ હોય તો આવી માહીતી જાહેરમાં ફરતી કરવાની જગ્યાએ યોગ્ય જગ્યાએ લેખિત ફરિયાદ કરવી વધારે અસરદાર રહેશે. પછી પોતાના અંગત સ્વાર્થ માટે આવા ગતકડા કરનાર તત્વો હસવું છે ને ખાંડ પણ ફાંકવી છે તેવી નિતિ અખ્ત્યાર કરે તેમાં કોઈ દમ નથી.
  • એક વાત તો ચોક્ક્સ જ છે કે, હાલમાં ઉમરેઠમાં વિકાસ તો થાય જ છે. ઉમરેઠમાં ઓડ બજાર ડેરી, સ્કૂલ તેમજ વડાબજાર, કોર્ટ રોડ સહીત બીજા અનેક વિસ્તારમાં સી.સી તેમજ આર.સી.સી રોડ બન્યા છે કેટલાક ફળીયા અને પોળોમાં બ્લોગ પણ નાખવામાં આવ્યા છે, કેટલીય સોસાયટીઓમાં નવા રસ્તા બનાવવામાં આવ્યા છે અને રામતળાવનું બ્યુટીફીકેશન પણ કરવામાં આવી રહ્યું છે. સ્ટ્રીટ લાઈટની ફરિયાદ થાય ને તુરંત તેનો નિકાલ પણ થઈ જાય છે એકંદરે હાલમાં પાલિકાનું કામ સંતોષકારક કહી શકાય ભ્રષ્ટાચાર પણ થતો હશે પણ પ્રજજનોને તેમાં રસ નથી તેમને તો આંખે વિકાસ દેખાવો જોઈયે અને હાલમાં નગરમાં વિકાસ દેખાઈ રહ્યો છે.
  • ઉમરેઠ સંતરામ મંદિરમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. સવારના સમયે ભક્તો દ્વારા શ્રી ગણેશદાસજી મહારાજનું ગુરૂપુજન કરવામાં આવ્યું હતું.

ઉમરેઠના મુળેશ્વર મહાદેવ ખાતે અષાઢી જોખાઈ – ઓછા વરસાદનો વર્તારો


ઘઊં,અડદ,કપાસનો પાક વધારે થશે,મગ અને વરસાદનો નકારાત્મક વર્તારો

ઉમરેઠના ચંન્દ્રમુળેશ્વર મહાદેવ ખાતે ઐતિહાસીક અષાઢી જોખાઈ હતી. જેમાં વિવિધ તેલીબીયા અને અનાજ સહીત વરસાદના વર્તારા અંગે અનુમાન કરવામાં આવ્યા હતા. પરંપરાગત મુજબ મહાદેવના ગર્ભગૃહમાં ચમત્કારી ગોખમાં મુકેલો ઘડો પંચ સમક્ષ ખુલ્લો કરવામાં આવ્યો હતો અને તેમાં મુકેલા ધાન્યોને પૂનઃ જોખવામાં આવ્યા હતા. આ વર્ષે જોખાયેલ અષાઢીના વર્તારા મુજબ ઘઊં,અડદ,કપાસ જેવા ધાન્યો,અનાજ અને પાકમાં વધારો જોવા મળશે તેમજ મગ અને વરસાદ ગત વર્ષની સરખામણીમાં ઓછો રહેશે તેવું અનુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમરેઠ બાર એશોશીયેશનના પ્રમુખ પ્રફુલભાઈ સુત્તરીયા, આર.ટી.આઈ એક્ટીવીસ્ટ નરેન્દ્રભાઈ ગાભાવાળા, રાજેશભાઈ બશેરી, ગોપાલભાઈ શાહ(અપ્પુ) સહીત નગરના અગ્રણી વહેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં મંદિરજા પુજારી ગીરીશભાઈ દવેએ જણાવ્યું હતુ કે ઉમરેઠના સદર મહાદેવમાં જોખવામાં આવતી અષાઢીનું ખુબજ મહત્વ છે નગરના ગંજના વહેપારીઓ સહીત ખેડૂતો આતુરતાથી અષાઢીની રાહ જોતા હોય છે અને અષાઢીના વર્તારા મુજબ જ પાક કયો કરવો અને વહેપારીઓએ કયા ધાન્ય અને તેલીબીયાનો વહેપાર કરવો તેનું અનુમાન કરે છે.

સૌરાષ્ટ્રમાં ઉમરેઠની અષાઢીનું મહત્વ –  ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં જોખાતી અષાઢી માત્ર ઉમરેઠ પંથક માંજ નહી પરંતું સૌરાષ્ટ્ પંથકમાં પણ મહત્વ ધરાવે છે,સૌરાષ્ટ્ર ના ખેડૂતો પણ અષાઢીના વરતારા અંગે મહાદેવમાં પત્ર-વ્યવહાર કરી પુછતા હોય છે જેનો જવાબ પત્ર દ્વારા પુજારી ગીરીશભાઈ દવે નિયમિત આપતા રહે છે.
એડવર સિક્કાનું મહત્વ – અષાઢીમાં તોલાતા ધાન્યો અંગ્રેજોના જમાનાના એડવર સિક્કાના વજન જેટલા લેવામાં આવે છે. પહેલા તે સિક્કાના વજન જેટલા ધાન્યો જોખી ચમત્કારી ગોખમાં મુકાવામાં આવે છે. બીજે દિવસે તેનું ફરી વજન કરવામાં આવે છે અને જે ફેરફાર થાય તેને અષાઢી કહેવાય છે.
વરસાદના વરતારા માટે માટીનો ઉપયોગ – વરસાદનો વરતારો જાણવા માટે ધાન્યોની જગ્યાએ પોટલીમાં માટી મુકવામાં આવે છે. બીજે દિવસે આ માટી જે પ્રમાણે ભીનાશ પકડે તે મુજબ વરસાદ થાય તેવું અનુમાન કરવામાં આવે છે. ચાલુ વર્ષે ગતવર્ષ જેટલો જ વરસાદ મધ્યમ રહેશે તેવું અનુમાન છે.
ત્રણ પેઢીથી સોની પરિવાર અષાઢી જોખે છે – ઉમરેઠમાં ઐતિહાસિક અષાઢી તોલવાનું ગૌરવ છેલ્લી ત્રણ પેઢીથી સોની પરિવારને મળે છે. હાલમાં દિલીપભાઈ સોની અષાઢી તોલે છે, આ પહેલા તે પિતા બંસીલાલ સોની તેમજ તેઓના દાદા જેઠાલાલ સોનીએ અષાઢી તોલી હતી. દિલીપભાઈ સોનીએ જણાવ્યું હતુ કે,ત્રણ પેઢી થી અષાઢી તોલવાનો અમોને લાભ મળે એ તે અમારા માટે ગૌરવની વાત છે.

ઉમરેઠ સંતરામ મંદિર ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી


ઉમરેઠ સંતરામ મંદિર ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સવની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉમરેઠ સંતરામ મંદિરના ગાદીપતી પૂ.ગણેશદાસજી મહારાજે ભક્તોને આશિર્વચન પાઠવ્યા હતા અને જીવનમાં ગુરૂનું મહત્વ સમજાવ્યું હતુ. ગૂરૂ પૂર્ણિમા નિમિત્તે સંતરામ મંદિર ખાતે ઉમરેઠ લીંગડા,બેચરી,થામણા સહીતના ગામોના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

થામણા ખાતે રાઈફલ શુંટીંગ તાલીમ કેમ્પ યોજાયો.


thamna01

ઉમરેઠ તાલુકાના થામણા ગામે આણંદ જિલ્લા પોલીસ રચીત સુરક્ષા સેતુ સોસાયટી ગરિશિલ ગુજરાત ,સુરક્ષિત ગુજરાત સ્ત્રી શક્તિ કરણ અને મહિલા સુરક્ષા અંતર્ગત સ્વરક્ષણ માટે ૦.૨૨ મી.મી રાઈફલ શુટીંગની તાલીમ અર્થે કેમ્પનું આયોજન શ્રી કે.સી.પટેલ હાઈસ્કૂલ ખાતે ઉમરેઠ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વરક્ષણ માટે મહીલાઓએ કેવા પગલા ભરવા તેની સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉમરેઠ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ ડાભી, થામણાના સરપંચ ચંન્દ્રકાન્તભાઈ મુખી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રોટરી ક્લબ ઓફ ઉમરેઠનો પદગ્રહણ સમારોહ યોજાયો


રોટરી ક્લબ ઓફ ઉમરેઠના પદગ્રહન વિધિ સમારોહ નિમિત્તે નગરન શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલય સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ આ સમયે રો.આશીષભાઈ અજમેરા(ડી.જી) પ્રમુખ સંદિપભાઈ શાહ, ર્ડો.નિરવભાઈ શાહ સહીત રોટરી ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

રોટરી ક્લબ ઓફ ઉમરૅઠનો પદગ્રહણ સમારોહ આજે અત્રેની દશા ખડાયતાની વાડી ખાતે યોજાયો હતો જેમાં પદગ્રહણ પુરોહિત પદે રો.આશીષભાઈ અજમેરા(ડી.જી)અને અતિથિ વિશેષ પદે ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ ઉમરૅઠના પ્રમુખ પદે સંદિપભાઈ શાહ તેમજ મંત્રી પદે વિનોદભાઈ પ્રજાપતિની વરણી કરવામાં આવી હતી. નવા વરણી પામેલા પ્રમુખ સંદિપભાઈ શાહ અને તેઓની ટીમને રો.આશીષભાઈ અજમેરએ પદગ્રહણ કરાવ્યા હતા. સમારોહ દરમ્યાન ગત વર્ષમાં રોટરી ક્લબ ઓફ ઉમરૅઠ દ્વારા કરવામાં આવેલ વિવિધ સેવાકિય કાર્યોની ટુંકી માહીતી આપવામાં આવી હતી જ્યારે ગત વર્ષના પ્રમુખ ધ્વારા નવા વર્ષના પ્રમુખને વિધિવત વહિવટ સોપવામાં આવ્યો હતો. પ્રાસંગિક પ્રવચનમાં રો. આશીષભાઈ અજમેરાએ ક્લબની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી મેળવી ક્લબના કાર્યોની પ્રશંસા કરી હતી અને ક્લબ આવનારા સમયમાં સંદિપભાઈ શાહના નેતૃત્વમાં સારા કાર્યો કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. પ્રાસંગિક પ્રવચન કરતા પ્રમુખ સંદિપભાઈ શાહએ જણાવ્યું હતું કે, નવા વિચાર અને સકારાત્મક અભિગમ સાથે તેઓ અને તેઓની ટીમ ઉમરેઠમાં સદાય સેવાકિય પ્રવૃત્તિઓ કરવા રોટરી ક્લબના માધ્યમથી સક્રીય રહેશે. રોટરી ક્લબ ઓફ ઉમરેઠના પદગ્રહણ સમારોહમાં ઉમરેઠના અગ્રણી વહેપારીઓ સહીત રોટરી પરિવારના સભ્યો અને નગરના આગેવાનો હાજર રહ્યા હતા.સમારોહને સફળ બનાવવા માટે રોટરી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. અંતે નવા પ્રમુખ અને મંત્રીને ઉપસ્થિત મહેમાનોએ શુભેચ્છા વ્યક્ત કરી હતી

ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમ ખાતે બેંકના વ્યવહારો અંગે માર્ગદર્શન આપતો કાર્યક્રમ યોજાયો


સભ્યોના જન્મ દિવસની ઉજવણી 

ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમની સામાન્ય સભા તાજેતરમાં સિનિયર સિટીઝન હોલ ખાતે મળી હતી. આ પ્રસંગે પ્રમુખ પદે સુનિલભાઈ પંડ્યા (મેનેજર એક્સીસ બેન્ક), તેમજ અતિથિ વિશેષ શ્રી દલવાડી સાહેબ અને પત્રકાર કમલભાઈ પેઈન્ટર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. માજી.પ્રમુખ સુરેશભાઈ શાહએ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરી હતી, તેમજ મંચસ્ત મહાનુંભાવોને આવકાર આપ્યો હતો. આ પ્રસંગે સિનિયર સિટીઝન ફોરમના સભ્યોના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે જે સભ્યોનો જન્મ દિવસ ગયા માસમાં ગયો હોય તેઓને મંચ ઉપર બોલાવ પુષ્પ ગુચ્છ તેમજ મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા અને તેઓના તંદુરસ્ત અને દિર્ધાયુંની પ્રાર્થના કરવામાં આવી હતી.

સમારોહમાં વિશેષ રીતે ઉપસ્થિત ઉમરેઠ એક્સીસ બેન્કના મેનેજર સુનિલભાઈ પંડ્યાએ સિનિયર સિટીઝનને બેંકીગ ક્ષેત્રે મળતા વિવિધ લાભ અંગે માર્ગદર્શન પૂરુ પાડ્યું હતુ તેમજ બેંકમાં જાવ ત્યારે લેવામાં આવતા સાવચેતીના પગલા અંગે સમજ આપી હતી તેઓએ જણાવ્યું હતુ કે સિનિયર સિટીઝનનોને બેંકીગના વ્યવહાર કરવામાં કોઈ પણ મુશ્કેલી પડે તો તેઓ સદાય તેઓને માર્ગદર્શન આપવા તૈયાર છે તેવી ખાતરી આપી હતી. સમગ્ર સભાનું સંચાલન માજી મંત્રી ગોપાલભાઈ આર.શાહએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોપાલભાઈ શાહ, શાંતિલાલ પંડ્યા, એન.આર.શાહ,મહેન્દ્રભાઈ શાહ તેમજ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.