આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Category Archives: નવરાત્રિ મહોત્સવ-૨૦૧૧

ઉમરેઠમાં યુવાધન હિંલોઢે ચઢ્યું , નાસિકવાળા ખાતે ખેલૈયાના ધામા..! (Day-2)


ઉમરેઠના શ્રી ગૃપ દ્વારા નગરના નાસિકવાળા હોલ ખાતે નવરાત્રિ મહોત્સવ – ૨૦૧૧ની ઉજવણી કરવા આવી રહી છે, ત્યારે ઉમરૅઠનું યુવાધન મોટી સંખ્યામાં ગરબાનો આનંદ લઈ રહ્યું છે. આવનારા દિવસોમાં શ્રી ગૃપ દ્વારા નાના બાળકોને પ્રોત્સાહન મળે તેથી ખાસ “બાળ ગરબા”નું આયોજન કરવામાં આવશે, સમગ્ર નવરાત્રિ મહોત્સવને સુંદર રીતે પાર પાડવા શ્રી ગૃપના ગોકુલ ગાભાવાળા, શંભુ પટેલ તેમજ હર્ષ શહેરાવાળા સહીત શ્રી ગૃપના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

ઉમરેઠ બાજખેડાવાળ યુવા સમિતિ દ્વારા નવરાત્રિ મહોત્સવની ઉજવણી.


ઉમરેઠ બાજખેડાવાળ યુવા સમિતિ દ્વારા નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્રણ દિવસ સુધી ચાલનાર આ નવરાત્રિ મહોત્સવમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ભાગ લઈ રહ્યા છે અને યુવાધન ગરબા રમી માતાજીના પર્વમાં મસ્ત બની ગયા છે. ગાયત્રી હોલ ખાતે ઉજવવામાં આવતા સદર નવરાત્રિ મહોત્સવમાં પ્રવર્તમાન રોગચાળાની પરીસ્થીતીને ધ્યાનમાં રાખી ખાસ કરીને મેલેરીયા રોગ સામે લોકોએ કેવી રીતે લડવું તેની માહિતી આપતો એક સ્ટોલ પણ ગરબા ગ્રાઊન્ડમાં રાખવામાં આવેલ છે. નવરાત્રિ દરમ્યાન મોટી સંખ્યામાં જ્ઞાતિના યુવાનો અને યુવતિઓ ગરબા રમવા આવે છે ત્યારે સાથે સાથે સંભવીતઉમરેઠ બાજખેડાવાળ યુવા સમિતિ દ્વારા નવરાત્રિ મહોત્સવની ઉજવણી. મેલેરીયાના રોગચાળા સામે કેવી રીતે તંદુરસ્ત રહી શકાય તેની પણ લોકોને સમજ આપી સંચાલકો અનોખી રીતે નવરાત્રિ મહોત્સવ ઉજાવી રહ્યા છે.

અપડેટ્સ – નવરાત્રી મહોત્સવ – ૨૦૧૧ , ઉમરેઠ


શ્રાધ્ધ પક્ષને આવજો ને નવરાત્રીને હેલ્લો..

  • આજથી નવરાત્રી પર્વનો આરંભ એટલે પોળમાં અને ફળીયામાં આરતી કરવાનું શરૂં કેટલાક વિસ્તારમાં દશેરા સુધી તો કેટલાક વિસ્તારમાં શરદ પૂનમ સુધી આરતી કરી માતાજીની આરાધના કરવામાં આવશે.
  • નવરાત્રી એટલે નગરના ભદ્રકાળીમાતાજીના મંદિર, કાળીકા માતાજીના મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડશે.
  • દર વર્ષની જેમ ઉમરૅઠના નાસિકવાળા હોલ ખાતે શ્રી ગૃપ દ્વારા નવરાત્રી મહોત્સવ-૨૦૧૧નું આયોજન કરવામાં આવ્યું છે. નાસિકવાળા હોલમાં ગરબા મહોત્સવ ૨૦૧૧ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
  • ઉમરેઠના વ્રજવિહાર પાર્ટી પ્લોટમાં પણા આ વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. કહેવાય છે ગુજરાતી ફિલ્મના કલાકારો પણ ઉમરૅઠમાં મહેમાન બનશે.
  • પાર્ટી પ્લોટ અને નાસિકવાળા હોલ સીવાય નગરના વિવિધ વિસ્તારમાં શેરી ગરબાની પણ ધૂમ રહેશે. વાંટાં, દલાલ પોળ,કાછીયાવાડ સહીતના વિસ્તારોમાં શેરી ગરબા પરંપરાગત રીતે કરવામાં આવે છે.
  • નવરાત્રી દરમ્યાન નોમના દિવસે ઉમરૅઠના વારાહિમાતાજીનો જગવિખ્યાત હવન યોજાશે. ઉલ્લેખનીય છે કે આ હવન માત્ર ઉમરૅઠ અને કાશી ખાતેજ થાય છે.
  • ..બસ નવરાત્રીના નવ દિવસ પતે અને હવનના દર્શન કરી ઉમરેઠીયાઓ ફાફડા અને જલેબી ઉપર ટુટી પડશે. દશેરાના દિવસે ફાફડા અને જલેબીનો સ્વાદ લેવાની મજા જ કાંઈ ઓર હોય છે. આમ તો દશેરા એટલે અસત્ય ઉપર સત્યના વિજયનું પર્વ પણ આપણે ગુજરાતીઓ તમામ પર્વમાં ખાવાની વસ્તું લાવીજ દઈયે છે. દશેરાના દિવસે ફાફડા અને જલેબી જ કેમ..? કોઈને ખ્યાલ હોય તો જરૂર થી મને જણાવશો..
  • અરે..હા.. એક ખાસ વાત તો રહી જ ગઈ, નવરાત્રીમાં પોળો અને ફળીયાઓમાં પાવાગઢ બનાવવાનું ખુબ મહત્વ હોય છે. દિવસે દિવસે આ પરંપરા નામશેષ થઈ રહી છે, પણ હજૂ પણ નવરાત્રીમાં પાવાગઢ બનાવવાની પ્રથા કેટલાય વિસ્તારમાં ચાલુ જ છે. મને યાદ છે, હું જ્યારે નાનો હતો ત્યારે અમારી પોળમાં અમે બધા મિત્રો માટી લાવી પાવાગઢ બનાવતા અને સુંદર રીતે તેને સજાવતા અને આરતી કરતા.આદ્ભુત હતા તે દિવસો…
  • હવે, અમારી પોળમાં પાવાગઢ તો નથી બનતો પણ દશેરા ચોક્ક્સ ઉજવાય છે. દશેરાના દિવસે રાવણનું પૂતળું ચોક્ક્સ બાળવામાં આવે છે. ઉમરેઠમાં દશેરા પર્વ દરમ્યાન રાવણ પૂતળાનો દહન કાર્યક્રમ સૌ પહેલા અમારી પોળમાં થયો હશે તેમ કહીયે તો અતિરેક નહી કહેવાય.

બસ , નવરાત્રી દરમ્યાન તમારું ધ્યાન રાખજો.. હેપ્પી નવરાત્રી..હેપ્પી દશેરા..ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી વાંચતા રહો … આપણું ઉમરેઠ