આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: November 2019

ઉમરેઠમાં ગેરકાયદેસર રીતે માટીનું ખનન થતુ હોવાની રાવ


mati.jpg

ઉમરેઠ પંથકમાં છેલ્લા કેટલાક સમય થી ગેરકાયદેસર રીતે માટીનું ખનન કરવાની પ્રવિત્તિ ફુલીફાલી છે, જે અંગે લાગતા વળગતા તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. વધુમાં પ્રાપ્ત માહિતિ મુજબ ઉમરેઠ પંથકમાં ગેરકાયદેસર રીતે થતા માટીના ખનન અંગે જાગૃત જનો દ્વારા લાગતા વળગતા તંત્રને લેખિત જાણ કરી હોવા છતા પંથકમાં બેરોકટોક માટીનું ખનન થઈ રહ્યું છે. હાલમાં નગરમાં કેટલીય જગ્યાએ કન્સ્ટ્રકશનનું કામ ચાલી રહ્યું છે, જ્યાં લેવલીંગ કરવા માટે માટી ગેરકાયદેસર રીતે ખનન કરી લાવવામાં આવતી હોવાની રાવ છે જો લાગતા વળગતા તંત્ર દ્વારા આ અંગે તપાસ કરવામાં આવે તો ગેરકાયદેસર રીતે થતી ખનન પ્રક્રિયા પર રોક લાગી શકે તેમ છે. આ મામલે નગરજનો કલેક્ટરને રજુઆત કરી ઉપરોક્ત ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર બિલ્ડરો સામે કડક કાર્યવાહી કરવા તેમજ સબંધિત અધિકારીઓ સામે પગલાં ભરવા રજુઆત કરશે તેવી જાણકારી પ્રાપ્ત થઇ છે

દેવ દિવાળી નિમિત્તે નગરના મંદિરોમાં દિપમાળા તેમજ અન્નકુટ દર્શન


IMG-20191112-WA0173IMG-20191112-WA0189

દેવોની દિવાળી તરીકે ઉજવાતા પવિત્ર તહેવાર દેવ દિવાળીની ઉમરેઠના સ્વામિનારાયણ મંદિર,વૈષ્ણવ મંદિરો સહીત સંતરામ મંદિરમાં ધાર્મિક પરંપરા મુજબ ખુબ ધામધુમથી ઉજવવામાં આવી હતી.આ પ્રસંગે ત્રણે સંપ્રદાયના મંદિરો સંતો તેમજ ભાવિક ભક્તો થી છલ્લોછલ્લ થરા હતા. દેશોની દિવાળી નિમિત્તે મંદિરોને રોશનીથી ઝગમગી ઉઠ્યા હતા.અત્રેના ગિરિરાજ મંદિરમાં જગદ્ ગુરૂ પંચમ પીઠાધીશ્વર પ.પૂ.108 વલ્લભલાલજી મહારાજે આરતી ઉતારી હતી.

ઉમરેઠ ના સીધી સમાજ દ્વારા ગુરુનાનક જ્યંતી ઉજવાઈ


sindhi.jpg

550 પ્રકાશ પર્વ ગુરુનાનક સાહેબ ની જન્મ જ્યંતી ની ઉજવણી આજે ઉમરેઠ સિંધી સમાજ દ્વારા કરવા માં આવી હતી જેના ભાગ રૂપે સિંધી સમાજ દ્વારા આજે વહેલી સવારે શ્રી ગુરુગ્રંથ સાહેબજી ની નાગરિકીર્તન પ્રભાત ફેરી દ્વારા ઉજવણી ની સુરૂઆત કરવા માં આવી હતી બપોર ના સમયે સત્સંગ કીર્તન સાથે ઉમરેઠ ની પૃથ્વીપાર્ક સોસાયટી માં લંગર પ્રસાદ નો ભંડારો કર્યો હતો જેમાં 200 થી વધારે ભક્તો એ ગુરુનાનક સાહેબજી ના ભંડાર નો પ્રસાદ લીધો હતો આ ઉપરાંત ગરીબો માં પણ પ્રસાદ ની વહેંચણી કરવા માં આવી હતી સાંજ ના 6 કલાકે ઉમરેઠ ના પૃથ્વીપાર્ક સોસાયટી માંથી ગુરુનાનક સાહેબજી શોભા યાત્રા નીકળવા માં આવી હતી જે ઉમરેઠ નગર ના રસ્તા ઓ ઉપર ફરી હતી અને શોભાયાત્રા દરમ્યાન પ્રસાદ નું વિતરણ કરવા માં આવ્યું હતું આ શોભાયાત્રા માં ઉમરેઠ સિંધી સમાજ ના લોકો મોટી સંખ્યા માં જોડાયા હતા અને રાત્રે 10 કલાકે ગુરુનાનક સાહેબજી ના જન્મ સમય 1.20 કલાક સુધી સત્સંગ કીર્તન અને ભજન નું આયોજન કરવા માં આવેલ છે 

ઉમરેઠ દશ ખડાયતા કેળવણી મંડળનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.


d2d5

d4.jpg

ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિનો ૨૬મો ઈનામ વિતરણ તેમજ સ્નેહમિલન કાર્યક્રમ દશા ખડાયતા વાડી ખાતે રીનાબેન અલ્પેશકુમાર ચોકસીના અધ્યક્ષ સ્થાને તેમજ હીનાબેન મુકેશભાઈ દોશી, જયશ્રીબેન ગોપાલભાઈ દોશી,સંગીતાબેન પરેશભાઈ ચોકસી, વસંતભાઈ પરીખના અતિથિ વિશેષ પદે યોજાયો હતો. આ પ્રસંગે જ્ઞાતિના ૭૦ વર્ષ થી વધુ ઉંમર વટાવી ચુકેલા વડીલોનું તેમજ ૪૫ વર્ષ પસાર કરનાર હયાત દંપતીનું શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહમાં જ્ઞાતિના તેજસ્વી તારલાઓને મોમેન્ટો અને ઈનામ એનાયત કરી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા જ્યારે પોતાના સન્માન બદલ વિદ્યાર્થીઓએ જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં બપોરે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં જ્ઞાતિજનો દ્વારા વેશભૂષા, ફીલ્મીગીત, ડાન્સ હરીફાઈ, સહીત મીમીક્રી કાર્યક્રમ રજૂ કરી સૌ કોઈને મનોરંજન પુરુ પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્ઞાતિની વિવિધ કમીટીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. દશા ખડાયતા કેળવણી મંડળના ચેરમેન કનુભાઈ દોશી (ડાકોર), પ્રમુખશ્રી રસીકલાલ ચીમનલાલ ચોકસી તેમજ મંત્રીશ્રી રાજેશ હરિવદનભાઈ શાહએ સૌ જ્ઞાતિજનોને નવા વર્ષની શુભેચ્છા સાથે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવનાર સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. આભાર વિધિ મુકુંદભાઈ દોશીએ કરી હતી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે જીનલ શાહ અને પલક શાહ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દર્શના દોશી, અને ખુશાલી શાહએ કર્યું હતું.

ઉમરેઠ પ્રેસ ક્લબ ની સ્થાપના કરાઇ.


PCU1PCU2

સિલ્ક સીટી ઉમરેઠ ખાતે પ્રેસ ક્લબ ની આજે શ્રી સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજ ની ઉપસ્થિતિમાં સ્થાપના કરવામાં આવી હતી. જેમા પ્રમુખ પદે નિમેષભાઇ ગોસ્વામી, ઉપ-પ્રમુખ પદે કૌશલભાઇ પંડ્યા તેમજ મંત્રી પદે પંકજ શ્રીધપ, સહ-મંત્રી પદે પરેશભાઇ દોશી,ગનીભાઇ વ્હોરાની નિમણુંક કરવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રેજરર પદે વિવેક દોશી, તુષાર પટેલ ની વરણી કરવામાં આવી હતી. સદર બેઠકમાં પત્રકાર મિત્રો ઇમરાન કાઝી,વાહીદ પઠાણ,કાલુ બડે,રફીક દિવાન હાજર રહ્યા હતા. આ પ્રસંગે શ્રી ગણેશદાસજી મહારાજે આશિર્વાદ આપતા જણાવ્યુ હતુ કે,ઉમરેઠ પ્રેસ ક્લબ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે અને સત્ય બહાર લાવવા સાથે સામાજિક કાર્યો કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. ઉમરેઠ શહેર ભાજપ  પ્રમુખ સુજલ શાહ,મહામંત્રી પ્રકાશભાઇ પટેલ, કોષાદ્યક્ષ રાકેશભાઇ શાહ તેમજ વિમલભાઇ પટેલે પ્રેસ ક્લબ ને શુભેચ્છા વ્યક્ત કરી હતી.