-
યક્ષ પ્રશ્ન – ઉમરેઠના આગામી ધારાસભ્ય કોણ..?
આગામી વિધાનસભાની ચુંટણીમાં ઉમરેઠ મત વિસ્તારમાં ભાજપ અને કોગ્રેસ દ્વારા ઉમેદવાર ઉભો કરવા માટે લોઢાના ચણા ચાવવા જેવી પરિસ્થિતી પેદા થાય તેમા કોઈ બે-મત નથી. ખાસ કરીને કોગ્રેસ પક્ષમાં ત્રણ જેટલા ઉમેદવારો વિધાનસભાની ટીકીટ મેળવવા તલપાપડ થઈ રહ્યા છે ત્યારે કોગ્રેસને આંતરીક વિગ્રહ ચુંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવે તેમ લાગી રહ્યું છે. ઉપરથી કોગ્રેસના સહયોગી પક્ષ એન.સી.પીના ઉમેદવાર પણ આ વખતે નવી સિમાંકનની પરિસ્થિતીમાં ઉમરેઠ વિધાનસભા માંથી ચુંટણી લડવાન તૈયારીઓ કરી રહ્યા હોવાનું રાજકિય વિશેષજ્ઞો જણાવી રહ્યા છે. ત્યારે આવનાર વિધાનસભાની ચુંટણીને લઈ સમગ્ર ઉમરેઠમાં તરેહ તરેહની ચર્ચાઓ થઈ રહી છે. હાલના તબક્કે પ્રજાને રીઝવવાના પ્રશ્નોની જગ્યાએ કોગ્રેસ અને ભાજપ પક્ષ દ્વારા પોતાના તેમજ સહયોગી પક્ષને ઉમેદવારને વિશ્વાસમાં લઈ યોગ્ય ઉમેદવારની પસંદગી કરવાનો પક્ષ પ્રશ્ન ઉભો થયો છે.જો કે, ભાજપમાં ઉમેદવારની પસંદગી માટે માત્ર બે જ વિકલ્પો હોવાથી ઉમેદવારની પસંદગી કરવામાં કોઈ મોટી સમસ્યા નહી નડે તેમ ભાજપના કાર્યકરો જણાવી રહ્યા છે.
ભાજપના સંભવિત ઉમેદવારો –
(૧) વિષ્ણુભાઈ છોટાભાઈ પટેલ-પ્રમુખ,ઉમરેઠ નગરપાલિકા
(૨) ભૃગુરાજસિંહ ચૌહાણ – પ્રમુખ,ઉમરેઠ તાલુકા પંચાયત
ઉમરેઠ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર તરીકે મુખ્ય બે ઉમેદવારો હાલમાં મેદાનમાં હોવાનું ભાજપના કાર્યકરો સહીત ઉમરેઠના નગરજનો ચર્ચા કરી રહ્યા છે. ઉમરેઠ વિધાનસભાના ઉમેદવાર પદે ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ વિષ્ણુભાઈ છોટાભાઈ પટેલ તેમજ ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી સ્પર્ધા છે. બંન્ને ઉમેદવારો દ્વારા મોવડી મંડળ સુધી પોતાની દાવેદારી સહીતની રજૂઆતોને આખરી ઓપ પણ આવમાં આવ્યો હોવાની પણ સૂત્રો ચર્ચા કરી રહ્યા છે. ઉમરેઠ વિધાનસભા સીટ ઉપર ક્ષત્રિયલોબીનું વરચસ્વ હોવા છતા વિષ્ણુભાઈ પટેલ ૨૦૦૨માં ૧૪૯૭૦ મતથી વિજય થયા હતા. તેમજ છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપમાં પોતાની શાખ કાયમ રાખવામાં સફળ નિવળ્યા છે, હાલમાં ગત નગરપાલિકાની ચુંટણીમાં ભાજપ વિરોધી વાતાવરણમાં પણ ભાજપને જીતાડી તેઓ પોતાની કાબેલીયત સાબિત કરી ચુક્યા છે, જેથી મોવડી મંડળ વિષ્ણુભાઈ પટેલ ઉપર વિશ્વાસ રાખી ભાજપના ઉમેદવાર તરીકે તેઓને આગળ કરે તેમ શક્ય છે. પરંતું જો કોગ્રેસ દ્વારા કોઈ ક્ષત્રિય ઉમેદવાર ઉભો કરવામાં આવે તો વિષ્ણુભાઈ પટેલનું પત્તું કપાઈ જાય તેમાં પણ કોઈ બે મત નથી. ૨૦૦૨માં ભાજપ તરફી મોજૂ હોવાને કારણે મોટી સરસાઈ મળી હશે તેમ વિચારી કદાચ ભાજપનું મોવડી મંડળ આગામી વિધાનસભામા ક્ષત્રિય ઉમેદવારને મેદાનમાં ઉતારે તો નવાઈ નથી.
બીજી બાજૂ જો કોગ્રેસ ક્ષત્રિય ઉમેદવારનું કાર્ડ રમે તો પણ ભાજપે કોઈ ચિંતા કરવાનું કારણ નથી, કારણ કે તાજેતરમાં કોગ્રેસ માંથી ભાજપમાં જોડાયેલા ભૃગૃરાજસિંહ ચૌહાણ પણ એક ક્ષત્રિય ઉમેદવાર તરીકે કોગ્રેસના કોઈ પણ ક્ષત્રિય ઉમેદવાર સાથે બાથ ભિડવા સક્ષમ છે. ઉમરેઠ તાલુકા પંચાયતમાં લગભગ પંદર વર્ષથી પ્રમુખ પદે ચુંટાતા ભૃગુરાજસિંહ ચૌહાહ ઉમરેઠના ગ્રામ્ય વિસ્તારોમાં સજ્જડ નેટવર્ક ધરાવે છે. આ ઉપરાંત શિક્ષિત હોવાને કારણે ધારાસભ્ય તરીકે તેઓ પ્રજાના પ્રશ્નો ગાંધિનગર સુધી પહોંચાડવા ખૂબજ કારગત સાબિત થશે પરંતું લોકલ ઉમરેઠમાં તેઓ ઓછું નેટવર્ક ધરાવતા હોવાથી તેઓનો પણો ઉમેદવાર તરીકે ટુંકો પડી જાય તો નવાઈ નહી..! છતા પણ લોકલ ઉમરેઠના વોટરની જબાબદારી સ્થાનિક ભાજપના કાર્યકરો ઉપાડી લે અને ભૃગરાજસિંહને સમર્થન કરે તો ભાજપને ઉમરેઠ બેઠક ઉપર હાર આપવી કોગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા જેવી સાબિત થાય તેમ રાજકિય વિશેષજ્ઞો મત પ્રગટ કરી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા વિધાનસભાની ચુંટનીમાં માત્ર બે જ ઉમેદવારોને વિશ્વાસમાં લઈ યોગ્ય દીશામાં આગળ વધવાની જરૂર છે અને જો આ અભિગમથી ભાજપ ચુંટણીમાં પ્રજા સમક્ષ આવશે તો વિજયનો માર્ગ ભાજપ માટે મોકળો થઈ જશે.
ભાજપમાં ભૂષણ ભટ્ટ પાછલા રસ્તે એન્ટ્રી મારે તો નવાઈ નહી..!
ઉમરેઠ વિધાનસભાની ચુંટણીમાં આમ તો હાલમાં માત્ર બે નામો ચર્ચાઈ રહ્યા છે. જેમાં ઉમરેઠ તાલુકા પંચાતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ અને ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલના નામો પહેલી હરોળમાં છે. પરંતું મૂળ ઉમરેઠના અને હાલમાં અમદાવાદ ખાડીયા વિસ્તારના ધારાસભ્ય અને સ્વ. અશોકભાઈ ભટ્ટના પૂત્ર ભૂષણ ભટ્ટ પણ ઉમરેઠથી ચુંટણી લડે તેવા સમિકરોનો નકારી શકાય નથી. હાલના દિવસોમાં ભૂષણ ભટ્ટની ઉમરેઠ વિસ્તારમાં ચહેલ પહેલ ખાસ્સી વધી ગઈ છે. સૂત્રોના જણાવ્યા મૂજબ ભૂષણ ભટ્ટ ઉમરેઠના ભાજપના નેતાઓને વિશ્વાસમાં લઈ પોતાની દાવેદારી ઉમરૅઠ વિધાનસભા માંથી કરવા પ્રયત્નો કરી રહ્યા છે. પરંતું તે પણ નક્કી છે કે ઉમરેઠના સ્થાનિક નેતાઓ સાથ આપશે તો જ ભૂષણ ભટ્ટ ઉમરેઠથી ચુંટણી લડવા તૈયાર થશે. અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે, ભૂષણ ભટ્ટ મૂળ ઉમરેઠના હોવાથી તેઓને લોકલ સપોર્ટ પણ મળી શકે તેમ છે.
કોગ્રેસના સંભવિત ઉમેદવાર
(૧) લાલસિંહભાઈ ઉદેસિંહભાઈ વડોદિયા
(૨) સુભાષભાઈ શેલત
(૩) ગંણપતસિંહ ચૌહાણ
ઉમરેઠ વિધાનસભાના ઉમેદવા પદે ભાજપની સરખામણીમાં કોગ્રેસમાં વધુ ખેંચાખેંચ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સીટીંગ ધારા સભ્ય લાલસિંહભાઈ વડોદિય ગત ચુંટણીમાં જીતવા માટે હોટ ફેવરેટ કહેવાતા વિષ્ણુભાઈ પટેલને ૪૧૧૫ વોટથી હરાવી કોગ્રેસના મોવડી મંડળ સમક્ષ પોતાની શક્તિ બતાવી દીધી હતી આ ઉપરાંત ગત વિધાનસભાની ચુંટણીમાં લાલસિંહ વડોદિયા ભાજપ માંથી કોગ્રેસમાં આવીને ચુંટણી જીતી જતા ભાજપની પણ આંખો પહોળી થઈ ગઈ હતી. તેઓના પાછલા પ્રદર્શનને ધ્યાનમાં રાખી તેઓને ટીકીટ ફાળવવામાં આવે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી પરંતું સિક્કાની બીજી બાજૂ જોઈયે તો લાલસિંહભાઈ વડોદિયા ક્ષત્રિય વોટ બેંક ધરાવતા હોવા છતા ભાજપના પટેલ ઉમેદવાર સામે માત્ર પાંચ હજજાર જેટલી સરસાઈથી હરાવી શક્યા તે પણ કોગ્રેસ માટે વિચાર માગી લેતો મુદ્દો છે. જેથી લાલસિંહ વડોદિયાની બદલે કોગ્રેસ અન્ય ઉમેદવાર તરફ નજર કરે તો નવાઈ નહી..!
બીજી બાજુ ઉમરેઠના માજી ધારાસભ્ય અને ભૂ.પૂ.આરોગ્ય મંત્રી સુભાષભાઈ શેલત પણ કોગ્રેસની ટીકીટ માટે પ્રબળ દાવેદાર છે. છેલ્લા કેટલાય સમયથી કોગ્રેસમાં આગળ પળતો ભાગ તેઓ ભજવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ કોગ્રેસમાં છેક ઉપર સુધી પહોંચ ધરાવે છે. કહેવાય છે જો ભાજપ વિષ્ણુભાઈ પટેલને ટીકીટ આપે તો કોગ્રેસ સુભાષભાઈ શેલતને અજમાવી શકે છે, કારન કે ઉમરેઠ સ્થાનિકના મત સુભાષભાઈ શેલત જ અન્ય કોગ્રેસના ઉમેદવારની સરખામણીમાં વધુ મેળવી શકે તેમ છે. આ વધુમાં ૨૦૦૨માં ભાજપના વિષ્ણુભાઈ પટેલ સામે તેઓનો પરાજય થયો હતો, આ સમયે તે સમયે અપક્ષ ઉમેદવાર ગણપતસિંહ ચૌહાણે લગભગ ૧૭૫૫૮ મત નિકાળ્યા હતા રાજકિય વિશેષજ્ઞો ચર્ચા કરી રહ્યા છે કે આ સમયે જો ગણપતસિંહ ચૌહાણ અપક્ષ તરીકે ન ઉભા રહ્યા હોત તો ૨૦૦૨ના જબર જસ્ત ભાજપ તરફી વાતાવરણમાં પણ સુભાષભાઈ શેલત વિજેયતા થઈ શક્યા હોત ત્યારે બહોળું રાજકિય જ્ઞાન ધરાવતા સુભાષ શેલતને ઉમેદવાર તરીકે કોગ્રેસ મેદાનમાં લાવે તો નવાઈ નથી.
વધુમાં કોગ્રેસમાં ત્રીજા ઉમેદવાર માટે ઉમરેઠ તાલુકાના ખોરવાડના ગણપતસિંહ ચૌહાણ પણ કોગ્રેસની ટીકીટ મેળવવા આકાશ પાતળ એક કરી રહ્યા છે. ગણપતસિંહ ચૌહાણ ક્ષત્રિય વોટ બેંક ઉપર એક હથ્થું રાજ કરી શકવા સક્ષમ છે, તેઓ આ પહેલા પણ ૨૦૦૨માં વિધાન સભા ચુંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું હતું આ સમયે તેઓએ એકલા હાથે ૧૭૫૫૮ વોટ મેળવી તમામ પક્ષની આખો પહોળી કરી નાખી હતી. જો ભાજપ ક્ષત્રિય ઉમેદવાર તરીકે ભૃગુરાજસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે આગળ કરે તો કોગ્રેસ ગણપતસિંહ ચૌહાણને ઉમેદવાર બનાવે તે પણ શક્યતા છે. કારણેકે ભૃગુરાજસિંહ ચૌહાણની સરખામણીમાં ગણપતસિંહ ચૌહાણ સ્થાનિક ઉમરેઠમાં સારી પક્કડ ધરાવે છે. પરંતુ આ સમયે સુભાષભાઈ શેલત અપક્ષ ઉમેદવાર તરીકે આગળ આવે તો કોગ્રેસની આંતરીક લડાઈમાં ભાજપ ભાવી જાય તેમાં નવાઈ નહી..! ચર્ચા તે પણ થઈ રહી છે કે તાજેતરમાં ગણપતસિંહ ચૌહાણ અને લાલસિંહ વડોદિયા પાસે કોગ્રેસના ઉચ્ચ કક્ષાના નેતાએ બેઠક પણ કરી હતી અને આ બંન્ને સંભવિત ઉમેદવારોને એકમેકના વિશ્વાસ સાથે આગળ વધી કોગ્રેસ પક્ષને મજબૂત કરવા હાકાલ કરી હતી. પરંતુ આગામી ચુંટણીમાં કોણ ઉમેદવાર તરીકે પ્રજા સમક્ષ આવશે તે વાતને લઈ હજૂ પણ અનેક પ્રશ્નો યથાવત છે. ત્યારે ખાસ કરીને કોગ્રેસને ઉમેદવાર નક્કી કરવામાં અગ્નિ પરિક્ષા માંથી પસાર થવું પડે તેવી પરિસ્થિથી પેદા થઈ શકે છે.
જો એન.સી.પી ને ઉમરેઠ બેઠક મળે તો…
જો કોગ્રેસ અને એન.સી.પી ગઠબંધન બરકરાર રહે અને એન.સી.પી ઉમરેઠ વિધાનસભા બેઠક મેળવવામાં સફળ થાય તો એન.સી.પી ના ઉમેદવાર પદે માત્રને માત્ર જયંતભાઈ પટેલ (બોસ્કી)ને ફાળે ટીકીટ જાય તેમાં કોઈ શંકા નથી. હાલમાં નવા સીમાંકન મુજબ સારસા મત વિસ્તાર ઉમરેઠમાં સમાવવામાં આવ્યો છે. જ્યારે વર્ષોથી સારસા મત વિસ્તારમાં જયંતભાઈ બોસ્કીનું એક હથ્થુ સાસન રહ્યું છે. સારસા મત વિસ્તારમાં પટેલ લોબીનું જયંતભાઈ બોસ્કીને સંપૂર્ણ સમર્થન હોવાથી તેઓ પણ કોઈ પણ ઉમેદવારને ટક્કર આપવા સક્ષમ છે. હાલમામ સ્થાનિક ઉમરેઠમાં પણ જયંતભાઈ બોસ્કી ઘુસપેઠ શરૂ કરી દીધી છે, નગરના કેટલાય સમારોહમાં તેઓની સુચક હાજરી ઘણું બધું કહી જાય છે. કહેવાય છે, જયંતભાઈ બોસ્કી નરેન્દ્રભાઈ મોદીની ગુડ બુકમાં છે, ઉમરેઠ તાલુકા ગરીબ કલ્યાન મેળામાં પણ નરેન્દ્ર મોદી(ભાજપ) દ્વારા બિન ભાજપીય ધારાસભ્ય જયંતભાઈ બોસ્કીને આમંત્રણ મળ્યું હતુ અને તેઓ હાજર પણ રહ્યા હતા ત્યારે જો કોગ્રેસ અને એન.સી.પીના સમીકરણો બદલાય અને ઉમરેઠ વિધાનસભા સીટ કોગ્રેસના ફાળે જાય તો રાજકિય લાભ જોઈ જયંતભાઈ પટેલ(બોસ્કી) ભાજપ તરફ મીટ માડી ભૃગુરાજસિંહ અને વિષ્ણુભાઈને કૂદી ભાજપની ટીકીત માંગી બેસે તો પણ નવાઈ નહી..! આ પરિસ્થિતિ પેદા થશે તો ભાજપમાં આંતરિક ભુકંપ સર્જાય તેમાં પણ કોઈ શંકા નથી. પરંતું આ પરિસ્થિતિની સંભાવણા ખૂબ જ ઓછી છે તેમ પણ રાજકિય વિશેષજ્ઞો મત પ્રગટ કરી રહ્યા છે.
એકંદરે ઉમરેઠ વિધાનસભાની ચુંટણીમાં નવા સીમાંકન મુજબ સારસા મત વિસ્તારમાં માત્ર જયંતભાઈ ચોકસી અને તમાકુના ધંધામાં વર્ષોથી સ્થાહી થયેલ કોગ્રેસના ગણપતસિંહ ચૌહાણ દબદબો ધરાવે છે, અન્ય ઉમેદવારોને જો ટીકીટ મળે તો તેઓએ સારસા મત વિસ્તાર માંથી એક-એક મત નિકાળવો સમુદ્રનું પાણી ઉલેચવા જેટલું અઘરૂં હશે..! હાલમાં તમામ સંભવિત ઉમેદવારો પોતપોતાનું જોર અજમાવી મોવડી મંળડને રીઝવવાનો પ્રયાસ કરતા હોય તેમાં નવાઈ નથી..! ત્યારે ભાજપ અને કોગ્રેસ દ્વારા કયા ઉમેદવારો મેદાનમાં લાવવામાં આવશ એતો આવનારો સમય જ નક્કી કરશે.
નોંધ – તમારા મતે ઉમરેઠના આગામી ધારાસભ્ય પદે કયો ઉમેદવાર સક્ષમ છે તે વોટ કરવા તમારા ફેશબુક એકાઊન્ટમાં લોગ ઈન કરો પછી અહિયા ક્લિક કરો.
22.125669
78.715607
તમારા મિત્રોને પણ ઉપરોક્ત સમાચાર નીચેના વિકલ્પો દ્વારા મોકલી શકો છો.
તમારા પ્રતિભાવ