આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ – ઐતિહાસીક અષાઢી જોખાઈ ખેતી લાયક વરસાદનો વર્તારો


ઉમરેઠ સહીત સૌરાષ્ટ્રના ખેડૂતો અને વહેપારીઓ અષાઢીના વર્તારા મુજબ ખેતી અને વહેપાર કરતા હોવાની માન્યતા.

ઉમરેઠના ઐતિહાસિક શ્રી ચંન્દ્રમુળેશ્વર મહાદેવ ખાતે દર વર્ષે પરંપરાગત રીતે અષાઢ વદ એકમના રોજ અષાઢી જોખવામાં આવે છે, આજે પણ મહાદેવમાં પંચ ની હાજરીમાં અષાઢી જોખવામાં આવી હતી જેમાં પાક ને અનુકુળ વરસાદ સહીત આ વર્ષે ખેતી ક્ષેત્રે સારું રહેશે તેવો વર્તારો દેખાયો હતો. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ ઉમરેઠના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ ચંન્દ્રમુળેશ્વર મહાદેવ ખાતે દિલીપભાઈ સોની દ્વારા અષાઢી જોખવામાં આવી હતી, જ્યારે અષાઢીનો વર્તારો પંચ સમક્ષ મહાદેવના પુજારી ગીરીશભાઈ દવેએ જાહેર કર્યો હતો. સંવત ૨૦૭૫ ની સરખામણીમાં સંવત ૨૦૭૬માં મગ ૨ વધારે, ડાંગર ૧૫ વધારે, જુવાર ૧૨ વધારે,ઘઊં ૩ વધારે, તલ ૧૮ વધારે, અડદ ૧ ઓછો, કપાસ ૧|| વધારે, ચણા ૧|| વધારે, બાજરી ૮ ઓછી તેમજ માટી ૦|| રતી વધારે નો વર્તારો દેખાયો હતો. જેને કારણે આગામી વર્ષ પાક અને વરસાદ ની દ્રષ્ટીએ સારુ રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉમરેઠમાં જોખાતી અષાઢીનું આગવું મહત્વ છે. ઉમરેઠ સહીત સૌરાષ્ટના અનાજ અને તેલીબીયાના વહેપારીઓ તેમજ ખેડૂતો પણ અષાઢીના વર્તારાની આતુરતા થી રાહ જોતા હોય છે. અષાઢી જોખાઈ તે સમયે નરેન્દ્રભાઈ ગાભાવાળા (વહેપારી), પ્રફુલભાઈ (વકીલ), ધર્મેશભાઈ શાહ (વહેપારી) સહીત જયંતીભાઈ પટેલ (ખેડૂત અગ્રણી), તરૂણભાઈ ચાંગ સહીતના અગ્રણીઓ તેમજ મહાદેવના પુજારી ગીરીશભાઈ દવે ઉપસ્થીત રહ્યા હતા. 

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.